Satya Tv News

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 5ની અટકાયત કરી

સુરત ગેસ ગળતરમાં 6 લોકોના મોતની ઘટનામાં તપાસનો રેલો ભરૂચ પહોંચ્યો

સુરતમાં ગુરુવારે ગેસ ગળતરના કારણે ૬ શ્રમજીવીઓના મોતની ઘટનામાં પોલીસે તપાસ તેજ કરી છે. સુરત પોલીસ આ ઘટનાના તાર ભરૂચ સાથે જોડાયેલા હોવાની માહિતી ભરૂચ પોલીસને આપતા કરાઈમ બ્રાન્ચે ઘટનામાં શકમંદ એવા ૫ લોકોની અટકાયત કરી સુરત પોલીસને સોંપાયા છે. ઘટનાનો મુખ્ય સ્ત્રોત એવું ઝેરી કેમિકલ અંક્લેશ્વરની ફેક્ટરીમાંથી રવાના થયું હોવાની પોલીસને આશંકા છે જોકે આરોપીઓ સતત મુંબઈ તરફની દિશા બતાવી રહ્યા છે જે ગુમરાહ કરવાનો કારસો પણ હોઈ શકે છે.

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ગુરુવારની રાતે ભરૂચ અને અંકલેશ્વરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમનો સતત ધરપકડનો ધમધમાટ રહ્યો હતો. અંકલેશ્વર અને ભરૂચના મક્તમપુર વિસ્તારમાં મળી પોલીસે રાત્રી દરમ્યાન ૫ લોકોની અટકાયત કરી હતી. આ પાંચેય સુરત ખાતે ગેસ ગળતરના કારણે ૬ શ્રમજીવીઓના મોતની ઘટના પાછળ સક્રિય ભૂમિકામાં હોવાનું મનાય છે. ભરૂચ પોલીસના સૂત્રો મામલે સત્તાવાર કી કહેવા ટીયર નથી પરંતુ ચોકકસ આ ગંભીર ઘટનાના મૂળ ભરૂચ જિલ્લાની કેમિકલ કંપનીમાં હોવાની વાતના અણસાર દેખાઈ રહ્યા છે.

ભરૂચ પોલીસ દ્વારા અટકાયત કરી સુરત પોલીસને સોંપાયેલા ૫ શકશો ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા છે. સૂત્રો અનુસાર આ ટોળકી અમદાવાદથી મુંબઈ સુધી નેટવર્ક ધરાવે છે. હેઝાર્ડસ કેમિકલ વેસ્ટના ગેરકાયદે નિકાલમાં મહારથ ધરાવે છે. રાતના અંધારામાં નદી – નાળા , અવાવરું વિસ્તાર કે બંધ ફેકટરીઓમાં રિવર્સ બોરિંગ કરી જમીનના પેટાળમાં કેમિકલ વેસ્ટ ધરબી દેવાય છે. પૂછપરછમાં ટોળકી ગુમરાહ કરતી હોય તેમ લાગી રહ્યું છે જેમના દ્વારા સુરતમાં નિકાલ કરાયેલ કેમિકલ વેસ્ટ મુંબઈ કે અંકલેશ્વરની કંપનીમાંથી લાવવામાં આવ્યું હતું તે બાબતે સ્પષ્ટ માહિતી મળી રહી નથી.

બનેલ ઘટના પર એક નજર કરીએ તો ટેન્કરમાંથી કેમિકલ ખાડીમાં ઠલવાતું હતું . આ દરમિયાન લીકેજ થતાં 8થી 10 મીટરમાં કેટલાક કામ કરતા શ્રમિકો અને કિટલી પર ઉભા રહેલા લોકોને ઝેરી કેમિકલની અસર થવા લાગી હતી. તેઓ ટપોટપ પડવા લાગ્યા હતા. જોતજોતામાં ગુંગળામણથી 6 શ્રમિકો મોતને ભેટ્યા. ગુંગળામણથી જે લોકોનાં મોત થયા ૨૦ થી ૩૦ વર્ષની વયના યુવાનો હતા

આ મામલે સચિન GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. કલમ 304, 120 બી હેઠળ ગુનો નોંધવા સાથે FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી છે. જે ટેન્કરથી કેમિકલ ઠલવાયું છે તે વડોદરા પાસિંગનું છે. જેથી તેના માલિક સુધી પહોંચવા ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ વડોદરા રવાના કરી બાદમાં રેલો ભરૂચ સુધી લંબાયો હતો.

error: