Satya Tv News

ગુજરાતના સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા બગુમરા ગામમાં એક આખા સમુદાયને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાનું ઘર મળ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની આ એક અનોખી સફળતા છે કે ગામના 237 લાભાર્થીઓ તેમના જૂના કાચાં ખોરડાંની જગ્યાએ અત્યારે એક પાકું મકાન બનાવી શક્યા છે.

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલ્પના કરી હતી કે વર્ષ 2022માં જ્યારે ભારત પોતાની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે ત્યારે દેશના તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હશે. આ કલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશથી વર્ષ 2015 માં નરેન્દ્ર મોદીએ શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ શરૂ કરી હતી.

શહેરી વિસ્તારની પ્રધાનમંત્રી આવાસ યોજનાના કુલ ચાર ઘટકો છે, જે હેઠળ લાભાર્થીઓને આવાસની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આમાંનું એક ઘટક છે, બેનિફિશિયરી-લેડ કન્સ્ટ્રક્શન (BLC) એટલે કે લાભાર્થીની આગેવાની હેઠળ વ્યક્તિગત મકાન બાંધકામ / ઉન્નતિકરણ માટે સબસીડી. આ ઘટક હેઠળ લાભાર્થીઓને તેમના સ્વપ્નાનું ઘર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે.

બીએલસી ઘટક હેઠળ લાભ મેળવવાની પ્રક્રિયા નીચે મુજબ છે:

• સૌપ્રથમ ગામના સરપંચ તેમજ ગામના મોભીઓને સાથે રાખીને લાભાર્થીઓ સાથે જાહેર સભાનું આયોજન કરવામાં આવે છે.

• જાહેર સભામાં લાભાર્થીઓને યોજનાની પૂરેપૂરી જાણકારી આપવામાં આવે છે.

• લાભાર્થીઓનો સર્વે કરી તેમના ફોર્મ ભરવામાં આવે છે.

• લાભાર્થીઓના ભરેલા ફોર્મ્સ સૌપ્રથમ રાજ્ય સરકાર દ્વારા અને ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે છે.

• મંજૂર થયેલા લાભાર્થીઓ સાથે ત્રિપક્ષીય કરાર કરવામાં આવે છે.

• લાભાર્થીઓનું જીઓ ટેગિંગ (Geo Tagging) કરવામાં આવે છે.

• ત્યારબાદ યોજના હેઠળ મંજૂર થયેલા લાભાર્થીઓને આવાસ બાંધકામ માટે કુલ રૂ.3.50 લાખની સહાય આપવામાં આવે છે.

• આ રૂ.3.50 લાખની સહાય છ હપ્તાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવે છે.

સુરત જિલ્લાના બગુમરા ગામમાં આશરે 3500 લોકોની વસ્તી છે. ગામની મોટાભાગની વસ્તી પટેલો તથા હળપતિઓની છે. આ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીએલસી ઘટક હેઠળ 237 લાભાર્થીઓના પાકા આવાસો મંજૂર થયા છે. તે પૈકી 197 આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને બાકી 40 આવાસોનું કામ પ્રગતિ હેઠળ છે, જે માર્ચ 2022 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ 237 આવાસો માટે રૂ.8.29 કરોડની ગ્રાન્ટ મંજૂર થયેલી છે, જેમાંથી રૂ.6.25 કરોડની ગ્રાન્ટ ચૂકવી દેવામાં આવી છે. સુરતનું બગુમરા ગામ બીએલસી ઘટક હેઠળ લાભાર્થીઓને મળેલા લાભનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
ખુશીથી છલકાતાં શબ્દો સાથે બગુમરામાં રહેતા આશાબહેન રાઠોડ જણાવે છે કે, ‘હું મજૂરી કરીને મારા ઘરનું ગુજરાન ચલાવું છું. પહેલાં મારું ઘર એક કાચું ઝૂંપડું જ હતું અને સંડાસ-બાથરૂમની પણ વ્યવસ્થા ન હતી. ચોમાસાની ઋતુમાં ચોમાસાનું પાણી ભરાઈ જતું અને અમને ખૂબ મુશ્કેલી પડતી હતી. ત્યારબાદ અમને પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી મળી. અમે આ યોજના માટે ફોર્મ ભર્યું અને સરકાર દ્વારા તે મંજૂર કરવામાં આવ્યું. ત્યારબાદ છ હપ્તામાં સરકાર દ્વારા અમારા ખાતામાં સીધા નાણા જમા થતા ગયા અને અમે અમારા માટે એક સુંદર અને સુવિધાયુક્ત પાકું આવાસ બનાવી શક્યા છીએ. સરકારની આ યોજના વગર આવું સુંદર ઘર બનાવવું શક્ય ન હતું. અમારા સપનાના ઘરમાં હવે અમે સુખેથી રહીએ છીએ અને અમારા બાળકોને સારી રીતે ભણાવી પણ શકીએ છીએ.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ થયેલા આ આવાસોના બાંધકામમાં લાભાર્થીઓની તમામ પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવી છે, જેવીકે, તેમના ઘરોમાં એલપીજી ગેસલાઈનની સુવિધાયુક્ત રસોડું, સ્વચ્છ અને સુઘડ સંડાસ-બાથરૂમની વ્યવસ્થા, દરેક ઘરને પીવાના શુદ્ધ પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન તેમજ ફળિયામાં પેવર બ્લોકવાળા પાકા રસ્તાઓ, સ્ટ્રીટલાઇટ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

સ્વચ્છ અને સુઘડ આવાસોનું નિર્માણ થવાથી બગુમરા ગામના લોકોની સુખાકારીમાં ખૂબ મોટા પ્રમાણમાં સુધારો આવી રહ્યો છે. આવનારી પેઢીઓનું નિર્માણ સારી રીતે થઈ રહ્યું છે, જેના કારણે તેમના બાળકોમાં શિક્ષણનું સ્તર પણ ઊંચું જઈ શકશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આ આવાસ યોજના રાજ્યભરના અને દેશભરના ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના લોકોનું પોતાનું ઘર બનાવવાનું સ્વપ્ન સરળતાથી સાકાર કરી રહી છે.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા

error: