Satya Tv News

કેનેડાના ટોરંટો ખાતે એક ગમખ્વાર રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે જ્યારે અન્ય 2ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયાના કહેવા પ્રમાણે વાન અને ટ્રેક્ટર ટ્રેલરની ટક્કર બાદ આ અકસ્માત થયો હતો.

કેનેડામાં હાઈ કમિશનર અજય બિસારિયાએ જણાવ્યું કે, આ ઘટના 13 માર્ચના રોજ બની હતી. ટોરંટો પાસે થયેલા આ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. તે સિવાય અન્ય બે ઘાયલ થયા છે. ટોરંટો ખાતે ભારતીય કોન્સ્યુલેટ જનરલ ટીમ મદદ માટે મૃતક વિદ્યાર્થીઓના મિત્રોના સંપર્કમાં છે.

આ અકસ્માતમાં હરપ્રીત સિંહ, જસપિન્દર સિંહ, કરણપાલ સિંહ, મોહિત ચૌહાણ અને પવન કુમાર નામના ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. મૃતકોની ઉંમર 21થી 24 વર્ષની વચ્ચે જણાવવામાં આવી રહી છે. તમામ મૃતક વિદ્યાર્થીઓ ગ્રેટર ટોરંટો અને મોન્ટ્રીયલ વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, અકસ્માત શનિવારે સવારે 3.45 વાગ્યે હાઇવે-401 પર થયો હતો. પોલીસે જણાવ્યું કે અન્ય 2 વિદ્યાર્થીઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વાનમાં સવાર અન્ય બે મુસાફરોને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રેક્ટર-ટ્રેલરના ચાલકને કોઈ ઈજા થઈ નથી અને તપાસ ચાલી રહી છે. આ મામલે હજુ સુધી કોઈ આરોપો દાખલ કરવામાં નથી આવ્યા. અકસ્માત બાદ હાઇવેની એક લાઇન બંધ કરી દેવામાં આવી હતી પરંતુ ત્યારપછી તેને ફરીથી ખોલવામાં આવી છે.

error: