ભારે વરસાદના કારણે આસામમાં તબાહી વધી રહી છે. આ બધા વચ્ચે વાયુસેનાએ કછાર વિસ્તારમાં અનેક કલાકો સુધી પૂરમાં ફસાયેલી એક ટ્રેનમાંથી સેંકડો મુસાફરોને રેસ્ક્યુ કર્યા હતા. અચાનક જ પૂર અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં ભારે તબાહી વ્યાપી છે. આ કારણે અનેક સ્થળોએ માર્ગ અને રેલ સંપર્ક તૂટી ગયા છે. ASDMAએ રવિવારે આગામી 12-72 કલાક માટે કછાર, કરીમગંજ, ધોમાજી, મોરીગાંવ અને નગાંવ જિલ્લાઓ માટે પૂરનું એલર્ટ આપેલું છે.
સિલચર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન ભારે વરસાદ અને પૂરના કારણે કછાર વિસ્તારમાં અટવાઈ ગઈ હતી. સ્થિતિ એ હદે વણસી ગઈ હતી કે, ટ્રેન આગળ કે પાછળ પણ નહોતી જઈ શકતી. અનેક કલાકો સુધી ટ્રેન ફસાઈ રહી એટલે જિલ્લા પ્રશાસને ભારતીય વાયુસેનાની મદદથી 119 લોકોને રેસ્ક્યુ કરાવ્યા હતા.