Satya Tv News

કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલા નેતા હાર્દિક પટેલ અંતે 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે. કમલમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક ભાજપમાં જોડાશે.

અનેક અટકળો અને ગત સપ્તાહના હાર્દિકના એક ટીવી ચેનલના ઈન્ટરવ્યુના ભાજપમાં જોડાવાના સંકેત બાદ આજે મળતી માહિતી અનુસાર હાર્દિક પટેલ અંતે 2જી જુનના રોજ કેસરિયો ધારણ કરશે.

પાટીદાર આંદોલનથી રાજ્યના રાજકારણમાં મોટી ભૂમિકાએ પહોંચનાર અને થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદેથી રાજીનામું આપનાર હાર્દિક પટેલે અંતે જાહેર કર્યું છે કે પોતે કઈ રાજકીય પાર્ટીમાં જોડાશે.

રાજીનામાં બાદ પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલે ક્યા પક્ષમાં જોડાવું એ અંગે કોઈ ફોડ પડ્યો હતો નહી. ગત સપ્તાહે એક ટીવી ચેનલની મુલાકાત દરમિયાન 29 વર્ષીય રાજકીય નેતાએ સંકેત આપ્યો હતો કે પોતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. જોકે, આ અંગે ચેનલ તરફથી કે પટેલ નેતા તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ આજે 31મી તારીખે મળતી માહિતી અનુસાર હાર્દિકના ભાજપમાં પ્રવેશને લીલીઝંડી મળી ચૂકી છે અને ગુરૂવારે ભાજપમાં જોડાશે.

ઈન્ટરવ્યુમાં હાર્દિકે ચૂંટણી લડવા માટેની પણ સહમતિ દર્શાવતા કહ્યું હતુ કે જો ભાજપ નક્કી કરશે તો ચુટણી લડવા પણ તૈયાર છું. એવો પણ દાવો થઇ રહ્યો છે કે હાર્દિક આગામી દિવસોમાં સોમનાથથી ગુજરાતમાં એકતા યાત્રા શરુ કરે એવી શક્યતા છે. આ યાત્રા થકી તે સમગ્ર ગુજરાતમાં વિવિધ લોકોને સાથે જોડવા માંગી રહ્યો છે.

આ ચેનલની મુલાકાતમાં હાર્દિક પટેલે બીજી બે મહત્વની વાત કરી છે. એક, એણે જણાવ્યું હતું કે જે રીતે ગુજરાતમાં સરકારી નોકરીઓના પેપર લીક થાય છે તેની સામે રાજ્ય સરકારે ખાસ કાયદો ઘડવો જોઈએ. બીજું એણે એવું નિવેદન આપ્યું હતું કે 2015માં અમદાવાદ ખાતે પોતાની અનામત આંદોલનની રેલી બાદ રાજ્યભરમાં ફાટી નીકળેલા તોફાનોમાં સરકારી બસ અને અન્ય સ્થળોએ આગઝ્ની અને અન્ય તોડફોડ કે હુમલા માટે જે લોકો સામે કેસ થયા છે તે પરત ખેચવા જોઈએ નહી.

ચેનલની એક કલાકની મુલાકાતના અંતે તેણે આડકતરી રીતે જાહેરાત કરી હતી, “હા હું ભાજપમાં જોડાવાનો છું.”

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓ આ વર્ષના અંતે યોજાવાની છે ત્યારે પાટીદાર સમુદાયને કોઇપણ પ્રકારની નારાજગી હોય તે દૂર કરવા માટે સત્તાધારી ભાજપ તમામ પ્રયત્ન કરી રહ્યું છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ જીલ્લાના આટકોટ ખાતે એક હોસ્પિટલમાં ઉદ્ઘાટન માટે આવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં પાટીદાર સમુદાયના શકિત પ્રદર્શન માટે તમામ કવાયત હાથ ધરવામાં આવી છે. પ્રદેશ નેતાગીરી ગુજરાત રાજ્યમાં ખોડલધામ અને ઉમિયાધામના ટ્રસ્ટીઓ સાથે સંપર્કમાં છે અને બન્ને પાટીદાર સમુદાયના ટોચના અગ્રણીઓ વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજર રહે તે માટે તમામ પ્રયત્ન ચાલી રહ્યા છે.

error: