દિશા વાકાણી પાંચ વર્ષથી શોમાં જોવા મળી નથી
સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણી પરત ફરશે કે નહીં તેની ચર્ચા ચાલે છે. હવે સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદીએ કન્ફર્મ કર્યું છે કે દિશા વાકાણી આ શોમાં પરત ફરશે નહીં.
એક ઇન્ટરવ્યૂમાં અસિત મોદીએ કહ્યું હતું, ‘દયાબેનનું પાત્ર પરત ફરશે, પરંતુ તે પાત્રમાં દિશા વાકાણી જોવા મળશે નહીં. દિશાના રિપ્લેસમેન્ટ માટેના ઓડિશન ચાલુ છે અને ટૂંક સમયમાં જ નવી એક્ટ્રેસ દયાબેનનું પાત્ર ભજવતી જોવા મળશે.’
અસિત મોદીને પૂછવામાં આવ્યું હતું કે દિશા છેલ્લાં પાંચ વર્ષથી આ શોમાં જોવા મળી નથી તો મેકર્સને રિપ્લેસમેન્ટમાં આટલો લાંબો સમય કેમ લાગ્યો? પ્રોડ્યૂસરે જવાબ આપ્યો હતો, ‘લગ્ન બાદ દિશાએ થોડો સમય કામ કર્યું હતું. ત્યારબાદ બાળકના જન્મ સમયે તેને બ્રેક લીધો હતો. બાળકના ઉછેર માટે તેણે લાંબો બ્રેક લીધો. દિશાએ આ શો ક્યારેય છોડ્યો નહોતો. અમને આશા હતી કે દિશા પરત ફરશે જ. જોકે, પછી કોરોનાવાઇરસ આવી ગયો. તે સમયે શૂટિંગમાં ઘણાં પ્રોટોકોલ હતા. અમે તમામ સાવચેતી સાથે શૂટિંગ કરતાં હતાં. દિશાએ કહ્યું હતું કે તેને આ સમયે શૂટિંગ કરવામાં ડર લાગે છે.’
અસિત મોદીએ વધુમાં કહ્યું હતું કે દિશા લાંબા સમયથી સિરિયલમાં કામ કરતી હતી અને તેના સંબંધો ટીમ સાથે પણ સારા હતા. આ જ કારણે દિશાની રાહ જોવાનું નક્કી કર્યું હતું. દિશા પરત ફરશે તેમ બધાને લાગતું હતું. હજી પણ દિશાએ પોતાના ફાઇનલ પેપર્સ આપ્યા નથી. તે પરિવાર જેવી છે. હાલમાં જ તે બીજા બાળકની માતા બની છે અને તે હવે શોમાં પાછી આવી શકે તેમ નથી. દયાબેનના રોલ માટે ઓડિશન પૂરજોશમાં ચાલી રહ્યા છે. ટૂંક સમયમાં જ દયાબેનના રોલ માટે નવી એક્ટ્રેસની પસંદગી કરી લેવામાં આવશે. દર્શકોને ટૂંક સમયમાં જ નવાં દયાબેન જોવા મળશે.
તાજેતરમાં સિરિયલના પ્રોમોમાં દયાભાભીની એક ઝલક જોવા મળી હતી. વીડિયોમાં જોવા મળ્યું હતું કે દયાભાભી ચાલતાં આવે છે, તેમનો પડછાયો દેખાય છે અને પછી તેમના પગ જોવા મળે છે. પછી તરત જ સુંદર (મયૂર વાકાણી)નો અવાજ આવે છે કે બહેન જરૂરથી આવશે. બીજા સીનમાં જેઠાલાલ (દિલીપ જોષી) તથા સુંદર ફોન પર વાત કરે છે. સુંદર કહે છે કે તે જાતે બહેનને લઈને મુંબઈ આવશે. આ વાત સાંભળીને જેઠાલાલ પૂછે છે કે તે મજાક નથી કરતો ને? આ સવાલના જવાબમાં સુંદર કહે છે તે સાચું બોલે છે અને પરમ દિવસે બહેન મુંબઈ આવશે એ પાક્કું છે. આ વચન છે. સુંદરની વાત સાંભળીને જેઠાલાલ ખુશ થઈ જાય છે.
દિશા વાકાણી ‘તારક મહેતા..’માં 2008થી જોડાયેલી છે. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજ દિન સુધી પાછી આવી નથી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે. 2019માં ઓક્ટોબરમાં દિશા વાકાણી જોવા મળી હતી. એ સમયે દિશા વાકાણીએ ફોન પર જેઠાલાલ સાથે વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સના મતે, દિશાએ શોના એક એપિસોડદીઠ 1.5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત તેણે મેકર્સ પાસે શરત મૂકી છે કે તે દિવસમાં માત્ર ત્રણ કલાક જ શૂટિંગ કરશે, કારણ કે તે પોતાનો સમય પરિવારને આપવા માગે છે. જોકે પછી દિશા વાકાણી કે પ્રોડ્યુસર્સે આ અંગે કંઈ જ કહ્યું નહોતું.