હાઇવે પરથી ટોલ-પ્લાઝા હટાવી દેવાને લઈ નીતિન ગડકરીએ મોટુ એલાન કર્યું છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના ટોલ પ્લાઝાને દૂર કરવાની યોજના પર આગળ કામ કરી રહી છે. ટોલ પ્લાઝાને બદલે હવે હાઈવે પર ઓટોમેટિક કેમેરા હશે, જે વાહનોની નંબર પ્લેટ વાંચશે અને તેના માલિકોના લિંક્ડ બેંક એકાઉન્ટમાંથી આપમેળે ટોલ કપાઈ જશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું કે, આ સ્કીમનો પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ સંક્રમણને સરળ બનાવવા માટે કાયદાકીય સુધારા પણ કરવામાં આવી રહ્યા છે.
ગડકરીએ જનવ્યું હતું કે. 2019માં અમે એક નિયમ બનાવ્યો હતો કે કાર કંપની ફીટેડ નંબર પ્લેટ સાથે આવશે. છેલ્લા ચાર વર્ષમાં જે વાહનો આવ્યા છે તેમાં અલગ-અલગ નંબર પ્લેટ છે. હવે ટોલ પ્લાઝાને હટાવવાની અને કેમેરા લગાવવાની યોજના છે, જે આ નંબર પ્લેટ વાંચશે અને ટોલ સીધા ખાતામાંથી કપાશે. અમે આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ પણ કરી રહ્યા છીએ. જોકે અહી એક સમસ્યા છે – કાયદા હેઠળ ટોલ પ્લાઝા છોડનાર અને ચૂકવણી ન કરનાર વાહન માલિકને દંડ કરવાની કોઈ જોગવાઈ નથી. આપણે તે જોગવાઈને કાયદામાં લાવવાની જરૂર છે. અમે તે કાર માટે જોગવાઈ લાવી શકીએ છીએ જેમાં આ નંબર પ્લેટો નથી. આ માટે અમારે બિલ લાવવું પડશે.
આ સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દેશમાં રસ્તાઓ અને હાઈવેને સુધારવા માટે સતત કામ કરી રહી છે. લોકોને સુવિધા આપવા માટે આવા એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યા છે, જે પ્રવાસ દરમ્યાન સમય બચાવે છે. કેન્દ્ર સરકાર દ્વારા 2024 સુધીમાં દેશમાં 26 ગ્રીન એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. આનાથી મોટા શહેરો વચ્ચેનું અંતર અને સમય ઘટશે.