Satya Tv News

SC-ST અનામતમાં વધારો કરાશે, 50 ટકા કોટાની મર્યાદા થશે સમાપ્ત: સરકાર

કર્ણાટકની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારે વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા એક મોટું પગલું ભર્યું છે. રાજ્ય સરકારે બંધારણીય સુધારા દ્વારા રાજ્યમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC/ST) ની અનામત વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ નિર્ણય જસ્ટિસ એચ.એન. નાગમોહન દાસ કમિશનનો અહેવાલને અનુલક્ષીને લીધો છે. આ અહેવાલમાં SC માટેની અનામતને 15 ટકાથી વધારીને 17 ટકા અને ST માટેની અનામતને 3 ટકાથી વધારીને 7 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ એક સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ આ જાહેરત કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અને જનતા દળ (એસ)ના નેતાઓએ પણ ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, વસ્તીના આધારે SC/ST સમુદાયો માટે આરક્ષણની લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી છે. ‘જસ્ટિસ નાગમોહન દાસ કમિશનની ભલામણઓ ઉપર આજે સર્વપક્ષીય બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને તેને મંજૂરી આપવામાં આવી હતી. આ અગાઉ અમારી પાર્ટી (BJP)માં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં SC/STના કલ્યાણ માટે અમારી પ્રતિબદ્ધતા જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શનિવારના રોજ કેબિનેટની બેઠક બોલાવવામાં આવશે અને તેમાં આ અંગે ઔપચારિક નિર્ણય લેવામાં આવશે.

બોમ્માઈ સરકાર ઉપર કમિશનના અહેવાલોને લાગુ કરવા માટે SC/ST સાંસદો તરફથી ભારે દબાણ હતું. આ સાથે વાલ્મિકી ગુરૂપીઠના આચાર્ય પ્રસન્નાનંદ સ્વામી પણ ST રિઝર્વેશન મર્યાદા વધારવાની માંગણી સાથે ભૂખ હડતાલ ઉપર છે. વિપક્ષી પાર્ટીઓ ખાસ કરીને કોંગ્રેસ રાજ્ય સરકાર ઉપર કાર્યવાહી કરવામાં વિલંબને લઈને આકરા પ્રહારો કરી રહી છે. પંચે જુલાઈ 2020માં સરકારને પોતાની ભલામણો આપી હતી. જો કે અનામત અંગે સુપ્રીમ કોર્ટે અમુક નિર્ણયો બાદ રાજ્ય સરકારે કાયદા અને બંધારણની ભલામણોને લાગુ કરવા માટે ન્યાયમૂર્તિ સુભાષ બી. આદીની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી હતી. આ કમિટીએ પાછળથી પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો.

બોમ્મઈએ કહ્યું હતું કે, બંને અહેવાલોનું અધ્યયન કર્યા બાદ સરકાર કાયદા અને બંધારણ સાથે સંબંધિત કોઈપણ મુદ્દા પર કોઈ નિર્ણય લેતા પહેલા બધાને વિશ્વાસમાં લેવા માંગતી હતી. તેથી સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. હાલમાં, કર્ણાટક OBC માટે 32 ટકા, SC માટે 15 ટકા અને ST માટે 3 ટકા એટલે કે કુલ 50 ટકા અનામત પ્રદાન કરે છે.

વિપક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, અન્ય પૂર્વ મુખ્યમંત્રી અને જેડી(એસ) નેતા એચડી કુમારસ્વામીએ પણ સર્વદળીય બેઠકમાં હાજરી આપી હતી. જો આરક્ષણ 50 ટકાથી વધી જાય તો અદાલતો વાંધો ઉઠાવશે. કાયદા મંત્રી જે.સી. મધુસ્વામીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે કે રાજ્યોમાં અનામત 50 ટકાથી વધુ ન હોવી જોઈએ પરંતુ કેટલાક રાજ્યોએ આ મર્યાદાને વટાવી દીધી છે. ખાસ સંજોગોમાં આવું કરવાની જોગવાઈ છે. તેમણે કહ્યું હતું કે, અમે તેને નવમી અનુસૂચીની હેઠળ રજૂ કરશું કારણ કે તેમાં ન્યાયિક છૂટ છે. તમિલનાડુએ આરક્ષણની ઉપરી મર્યાદા નવની અનુસૂચિ હેઠળ જ વધારીને 69 ટકા કરી છે. અમે કેન્દ્ર સરકારને બંધારણમાં સુધારો કરવાની ભલામણ કરીશું.

કેટલાક લોકો આ નિર્ણયને રાજકીય ચશ્મા દ્વારા જોઈ રહ્યા છે કારણ કે લગભગ 6 મહીનામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. સિદ્ધારમૈયાએ કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે, જો સરકાર ખરેખર આ સમુદાયોની ચિંતા કરતી હોય તો રાજ્યની ભલામણ બાદ SC/ST માટેનો કોટા વધુ વધારવા માટે વટહુકમ બહાર પાડે.

બોમ્માઈએ કહ્યું હતું કે, SC/ST કોટા વધારવાના નિર્ણયથી કોઈપણ સમુદાય માટે અનામતની આરક્ષણની માત્રામાં ઘટાડો નહીં થાય. રાજ્યમાં વિવિધ સમુદાયો માટે કુલ 50 ટકા અનામત છે. આજે લેવાયેલો નિર્ણય જસ્ટિસ નાગમોહન દાસ કમિટીએ ભલામણ કરેલી 50 ટકાની મર્યાદા કરતાં વધુ છે. તેમણે કહ્યું હતું કે, ‘આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા અનામત આપવાનો નિર્ણય પહેલાથી જ લેવામાં આવ્યો છે. જેમની પાસે કાયદા મુજબ આરક્ષણ નથી પરંતુ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને નિર્ણયની રાહ જોવાઈ રહી છે’

error: