મુંબઇ: અહમદનગર જિલ્લાના રાહરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ એક મહિલાને એક પોલીસ અધિકારીએ વાસનાનો શિકાર બનાવી તેના પર અત્યાચાર ગુજાર્યો હતો.
મહિલાએ પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ જમીનના એક વહેવારમાં મહિલા સાથે છેતરપિંડી થતા તે દેવબાલી- પ્રવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઇ હતી. આ સમયે એક અજાણી વ્યક્તિ તેને મળી હતી અને તેણે મહિલાને રાહુરી પોલીસ સ્ટેશનના અધિકારી એવા આરોપી નારહેડાનો નંબર આપ્યો હતો. મહિલાએ નારહેડાને ફોન કરતા વ્યક્તિગત આવીને મળવા કહ્યું હતું.
ગત સાતમી જૂનના મહિલા રાહરી પોલીસ સ્ટેશનમાં આવી હતી અને નારહેડાને મળી હતી. આ સમયે મહિલાએ તેને સંપૂર્ણ વિગત જણાવી હતી. આ સમયે નારહેડાએ મહિલાને વ્યક્તિગત અને અજુગતા સવાલો પૂછી કામના બદલામાં શું આપશે? તેવો પ્રશ્ન કર્યો હતો. આઠ દિવસ બાદ મહિલા તેની ફરિયાદનું શું થયું તેની પૂછપરછ કરવા આવી ત્યારે આરોપી નરહેડાએ તુ ખૂબ સારી દેખાય છે, મારી સાથે મિત્રતા કરીશ કે તેવા મેસેજ મોકલ્યા હતા. નારહેડાએ મહિલાને સતત હેરાન કરતા મહિલાએ આ વાતની ફરિયાદ સ્થાનિક એસ.પીને કરી હતી. મહિલાએ ફરિયાદ કરતા ભડકેલા નરહેડાએ આ બાબતે તેની પૃચ્છા કરી ‘તારા ઘરે આવી બાળકો સામે તારી સાથે ગેરવર્તન કરીશ’ તેવી ધમકી આપી હતી.
૧૭ જૂનના નરહેડા ફરિયાદી મહિલાને રસ્તામાં મળ્યો હતો અને તેને ધમકાવી પોતાની રૃમ પર લઇ ગયો હતો અને મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ મહિલાએ ત્યારબાદ રાહરી પોલીસ સ્ટેશનમાં સબ ઇન્સ્પેક્ટર નારહેડા સામે ફરિયાદ કરતા બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ પ્રકરણે વધુ તપાસ ચલાવી રહી છે.