Satya Tv News

ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક બસ અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ સવાર બે ઇસમોના ઘટના સ્થળે મોત નીપજ્યું હતું

આજરોજ તાલુકાના ગોવાલી ગામ નજીક એક લક્ઝરી બસ અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ સવાર બે ઇસમોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતની આ ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ આજરોજ ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામના રહીશ ટીનીયાભાઇ ઠાકોરભાઇ વસાવા ઉંમર વર્ષ ૩૬ ના તેમજ ફળિયામાં રહેતા અને મુળ ડેડીયાપાડા તાલુકાના સામરપાડા ગામના રહીશ બાબુભાઈ દુર્લભભાઇ વસાવા ઉંમર વર્ષ ૫૪ ના,બન્ને ઇસમો સવારના મોટરસાયકલ લઇને તરીયા ધંતુરિયા ગામે મજુરીકામ કરવા જવા માટે નીકળ્યા હતા,ટીનીયાભાઇ મોટરસાયકલ ચલાવતા હતા અને બાબુભાઇ પાછળ બેઠા હતા. આ લોકો સવારના છ વાગ્યાના અરસામાં ગોવાલી ગામ નજીકથી પસાર થતા હતા ત્યારે એક લક્ઝરી બસ તેમની મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ટીનીયાભાઇના બન્ને પગ બસ નીચે આવી ગયા હતા તેમજ માથાના ભાગે પણ ગંભીર ઇજા થઇ હતી. મોટરસાયકલ પર બેઠેલ અન્ય ઇસમ બાબુભાઇને પણ માથા પગ તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ સવાર ટીનીયાભાઇ ઠાકોરભાઇ વસાવા તેમજ બાબુભાઇ દુર્લભભાઇ વસાવા બન્ને ઇસમો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ હોઇ તેઓના ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યા હતા. અકસ્માત સંદર્ભે જયંતીભાઇ ઠાકોરભાઇ વસાવા રહે.ગામ મોટાસાંજા તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.ઝઘડિયા તાલુકામાં છાસવારે સર્જાતા જીવલેણ અકસ્માતોને લઇને તાલુકાની જનતા ચિંતિત બની છે,અને બેફામ દોડતા વાહનોને અંકુશમાં લેવા તંત્ર લાલ આંખ કરીને કડક કારવાઇ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે

error: