Satya Tv News

ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર એલર્ટ મોડમાં આવ્યું : મુસાફરોને સુરક્ષા સ્થળે ખસેડાયાં

વિસ્ફોટક પદાર્થની ઝપટમાં આવેલા બે એસ.ટી. કર્મીઓને ગંભીર ઇજાઓ : – તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડાયાં

ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડ્રિલનો આશય નાગરિકોની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા

રાજપીપલા મધ્યસ્થ એસ.ટી. ડેપો બસ સ્ટેશન ખાતે સાંજે ૫ કલાકની આસપાસ એરસ્ટ્રાઈક (બોમ્બ એટેક) થતાં અફરાતફરી મચી હતી, સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક ધોરણે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, પોલીસ, આરોગ્ય અને ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરી હતી. અને ગણતરીની મિનીટોમાં વિવિધ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા પગલા હાથ ધર્યા હતા

.આ પ્રસંગે મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી લોકેશ યાદવ (આઈપીએસ) એ જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને એસ.ટી. ડેપો ખાતેના મુસાફરોને બસના માધ્યમથી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. જેમાં એનસીસી કેડેટ્સ, સ્વયંસેવકો અને નાગરિકોએ પણ સહયોગ રહ્યો હતો. ઘટનામાં બે એસ.ટી. કર્મીઓેને ગંભીર ઇજા થતાં તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં, ત્રણ-ચાર મુસાફરોને પણ સામાન્ય ઇજાઓ થતાં સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. વધુમાં શ્રી યાદવે જણાવ્યું કે, બોમ હોવાની શંકા ઉઠતાં બોમ્બ ડિફ્યુઝિંગ ટીમે સુઝબુઝ સાથે એસ.ટી.ડેપો પરિસરમાં મુસાફરોની બેઠક વ્યવસ્થા સહિત તમામ સ્થળનું ઝીણવટભર્યુ નીરિક્ષણ કર્યું હતું. ઘટના બનતાની સાથે જ એસ.ટી. રૂટ ડાયવર્ઝન કરાયું હતું. જે બાદ તેઓએ પરિસ્થિતિના નિયંત્રણ અંગેની ખાતરી કરી હતી. નોંધનીય છે કે, આ એક સિવિલ ડિફેન્સ મોકડ્રિલ હતી, જેનો મુખ્ય હેતુ નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે વ્યવસ્થાઓને મજબૂત કરવાનો અને સંવેદનશીલ પરિસ્થિતિમાં ત્વરિત અને યોગ્ય કાર્યવાહી કરવા માટે તૈયારીના ભાગરૂપે આ મોકડ્રીલ હતી. આ મોકડ્રીલને સફળ બનાવવા કરેલી કામગીરી બદલ જિલ્લા વહીવટી તંત્રએ તમામ વિભાગના અધિકારી-કર્મચારીઓનો આભાર વ્યક્ત કરીને કામગીરીની સરાહના કરી હતી. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના માર્ગદર્શક સૂચનો અનુસાર નર્મદા જિલ્લામાં એકતાનગર વહીવટી સંકુલ તેમજ રાજપીપલા એસ.ટી. ડેપો એમ બે સ્થળે “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઈ હતી. સાંજના સમયે નર્મદા જિલ્લામાં બ્લેકઆઉટ યોજાયું હતું. ૭:૩૦ થી ૮:૦૦ વાગ્યા સુધી સ્વયંભૂ લાઇટ બંધ રાખવા નાંદોદ મામલતદાર શ્રીમતી પદમાબેન ચૌધરીએ નગરજનોને અપીલ કરી હતી. નગરજનોએ પણ સ્વયંભૂ લાઈટ બંધ રાખીને મોકડ્રિલમાં સહયોગ આપ્યો હતો. આ મોકડ્રીલ દરમિયાન ડીવાયએસપી શ્રી પ્રેમલ પટેલ, પીઆઈ શ્રી વી.કે.ગઢવી, નાયબ ચૂંટણી અધિકારીશ્રી ચેતન સુથાર, ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી હેતલભાઈ ચૌધરી, નાંદોદ ટી.ડી.ઓ., એસ.ટી.ડેપો મેનેજરશ્રી નાઈ, ફાયર બ્રિગેડની ટીમ, હોમગાર્ડ-સુરક્ષા સ્ક્વોડ, વીજ વિભાગ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ મોકડ્રીલ દરમિયાન હાજર રહ્યા હતા.

*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*

error: