Satya Tv News

તા.૨૯ મે થી ૧૨ જૂન-૨૦૨૫ દરમિયાન “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન” અંતર્ગત ખેડુતોલક્ષી તાલીમ યોજાઈ

આ અભિયાન દરમિયાન નર્મદા જિલ્લાનાં અંદાજિત ૫૧૭૫ થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના મોટા સુકાઆંબા ગામ ખાતે તા. ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ ભારત સરકારશ્રીના ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ અંતર્ગત સમાપન કાર્યક્રમ યોજાયો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન. કૃ. યુનિ. દેડીયાપાડા, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. એચ. યૂ. વ્યાસે ખેડૂતોને ખરીફ પાકોની તૈયારી, કૃષિ પ્રગતિ એપ, મધમાખી ટ્રેપના ઉપયોગ, પ્રાકૃતિક ખેતી તેમજ અળસિયા ખાતરની બનાવટ અને ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ન. કૃ. યુનિ.ના ફોરેસ્ટ્રી કોલેજના ડીન ડો. મીનલ ટંડેલે એગ્રોફોરેસ્ટ્રી અને ઓછા પાણીમાં ઉછેરાતા વૃક્ષો વિશે માહિતગાર કર્યા. ઉપરાંત ICAR-સીબા નવસારીના વૈજ્ઞાનિકશ્રીએ માછલીઓના ખોરાક અને ખેતી સાથે પૂરક વ્યવસાય અંગે માહિતી આપી. ડો. મિનાક્ષી તિવારીએ પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સમાં મૂલ્યવૃદ્ધિ તથા માર્કેટિંગ વ્યવસ્થાપન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

મોટા તથા નાના સુકાઆંબા ગામોના મળી કુલ ૩૭૬ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી માહિતીનો લાભ લીધો હતો. જિલ્લામાંથી વિવિધ કૃષિ અને સહાયક વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહી ખેડૂતોએ પ્રશ્નોતરી તેમજ ઉપચારાત્મક ચર્ચાઓ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ભારતમાં તા.૨૯ મે થી ૧૨ જૂન-૨૦૨૫ દરમિયાન, ભારત સરકાર દ્વારા આયોજિત “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન” અંતર્ગત ખેડુતોલક્ષી તાલીમ યોજાઈ હતી. આ અભિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), નવસારી કૃષિ યુનિવર્સિટી, દેડીયાપાડા; આત્મા પ્રોજેક્ટ; ખેતીવાડી વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લાના તાલુકાઓનાં ગામોમાં અભિયાન દ્વારા કૃષિલક્ષી વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન નર્મદા જિલ્લાનાં અંદાજિત ૫૧૭૫ થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

error: