Satya Tv News

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. મોદીને મહાત્મા મંદિર ખાતે પુરસ્કાર એનાયત

નર્મદા જિલ્લામાં વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલ અને આદિવાસી વિસ્તારના જનસામાન્ય સુધી અભૂતપૂર્વ રીતે સેવાઓના સમગ્રવિસ્તાર સુધી પહોંચ માટે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા આયોજિત “સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત નર્મદા જિલ્લામાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.

એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોક હેઠળ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જુલાઈ-2024થી સપ્ટેમ્બર-2024 સુધીના ત્રણ માસ દરમિયાન આયોજિત “સંપૂર્ણતા અભિયાન”માં નર્મદા જિલ્લામાં આશાજનક કામગીરી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત નક્કી કરાયેલા ૬ પ્રાથમિક ઇન્ડિકેટર્સમાંથી જિલ્લા સ્તરે પાંચ સૂચકાંકો અને એસ્પિરેશનલ બ્લોક એટલે કે નાંદોદ તાલુકામાં પણ ૬માંથી પાંચ સૂચકાંકોમાં સંપૂર્ણ સેચ્યુરેશનની સિદ્ધી હાંસલ કરવામાં આવી છે.

આ શ્રેષ્ઠ કામગીરી બદલ તા.૨૯મી જુલાઈ, ૨૦૨૫ના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજિત રાજ્ય કક્ષાના સન્માન સમારોહમાં નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. મોદીને સિલ્વર મેડલ અને સન્માનપત્ર પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અભૂતપૂર્વ સિદ્ધિથી નર્મદા જિલ્લામાં કાર્યરત વહીવટી તંત્રની કામગીરીને વધુ મજબુતી મળી છે.

સંપૂર્ણતા અભિયાન (100 Days Challenge) દેશના મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આરોગ્ય, પોષણ, શિક્ષણ, કૃષિ, ગૃહ અને રોજગાર જેવા ક્ષેત્રોમાં ચોક્કસ સુચકાંકો હેઠળ છેવાડાના નાગરિકોને આવરી લેવાના હેતુથી યોજવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાની આ ઉપલબ્ધિએ આકાંક્ષી જિલ્લા તરીકે રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે જિલ્લાના નામને ગૌરવ અપાવ્યું છે.

રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

error: