Satya Tv News

રૂપિયા 25 લાખનાં ખર્ચે નિર્માણ પામનારા ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરાયું

રાજ્ય સરકારની યોજનાઓથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ પોતાના અનુભવો રજુ કર્યા

“સેવા, સુશાસન અને જનકલ્યાણના ૨૪ વર્ષ” તરીકે વિકાસ સપ્તાહ–૨૦૨૫ની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકાના ચોપડવાવ ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે સાગબારા તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાની અધ્યક્ષતામાં વિકાસ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિકાસ રથ ચોપડવાવ ખાતે આવી પહોંચતા રથને ફૂલહાર અને કુમકુમ તિલક કરી વધવ્યો હતો.

સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાએ જણાવ્યું હતું કે, વય વંદના યોજના, ખેતી -પશુપાલન અને શિક્ષિત-બેરોજગાર માટે પણ રાજ્ય સરકારની યોજના યુવાનો માટે આર્શીવાદ બની રહી છે. કેટલીક યોજનામાં સાધન-સહાય ખરીદી તેમજ GST ઘટવાથી સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. આયુષ્માન કાર્ડ યોજનાથી ૧૦ લાખ રૂપિયાની મફત સારવાર સુવિધા લોકોને મળી રહી છે. સરકાર માતા-બાળ આરોગ્ય, પોષણ અને શિક્ષણ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. મિશન મંગલમ જેવી યોજના થકી મહિલાઓને આત્મનિર્ભર બનાવાઈ રહી છે. ખીલ-ખિલાટ જેવી સુવિધાઓથી બાળ અને માતા સુરક્ષામાં વધારો થયો છે, જે સરકારની સરાહનીય કામગીરી છે.

આ સાથે ગામમાં રૂપિયા 25 લાખનાં ખર્ચે નિર્માણ પામનારા ચોપાડવાવ ગ્રુપ ગ્રામ પંચાયત ભવનનું મહાનુભાવોના હસ્તે ખાર્તમુહર્ત કરાયું હતું.

નર્મદા જિલ્લાના નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ મછારે જણાવ્યું હતું કે, સરકારશ્રીનો વિકાસ રથ લોકો સુધી ગામડે ગામડે પહોંચીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં 24વર્ષમાં જે સફળતા મેળવી છે, તેની ગાથા ફિલ્મ દ્રારા રજુ કરે છે. સરકાર દ્રારા કેટલાક લાભો વ્યક્તિગત વિકાસ અને કેટલાક લાભો સમુદાયિક વિકાસ માટેનાં હોય છે. વ્યક્તિગત લાભોમાં આવાસ યોજના, હેલ્થ કાર્ડ, ટપક સિંચાઈ વગેરે છે. જયારે સમુદાયિક વિકાસનાં કામમાં રોડ-રસ્તા, શાળા, વીજળીકરણ, ગ્રામ પંચાયત ભવનનો સમાવેશ થાય છે અને સમુદાયિક સરકાર થકી વિવિધ લાભો લોકોને આપાય છે.

આ તકે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને આજના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વન બંધુ કલ્યાણ યોજના અને આદિમ જૂથો, આદિવાસી સમાજનાં ઉત્કર્ષ માટે પી.એમ.જનમન યોજના અને સર્વાંગી વિકાસ માટે સરકાર કાર્યરત છે. પ્રસાર અને પ્રચાર માધ્યમો થકી લોકોને માહિતી યોજનાકીય માહિતી પહોંચાડે છે. ગુજરાત રાજ્ય સરકારે લોકોના જાહેર જીવનમાં પારદર્શિતા, જવાબદારી અને જનહિતના ભાવને કેન્દ્રસ્થાને રાખીને રાજ્યભરમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી શરૂ કરી છે. આ સપ્તાહ માત્ર ઉજવણી નથી, પરંતુ એ લોકો સુધી પહોંચવાના સરકારના સંકલ્પનું પ્રતિબિંબ છે, “જન જન સુધી વિકાસ પોંહચાડવાનું માધ્યમ છે.

દરેક જિલ્લામાં યોજાતા વિવિધ કાર્યક્રમો, લોકાર્પણો, લાભ વિતરણ સમારંભો અને પ્રદર્શનોથી રાજ્યના ગામડાં સુધી પહોંચેલો વિકાસ આજે સ્પષ્ટ રીતે નજરે પડે છે. એક સમયે ફક્ત શહેરોમાં સીમિત રહેલો વિકાસ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ જીવંત થઈ રહ્યો છે એનો જીવંત પુરાવો છે આ “વિકાસ સપ્તાહ”.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આપેલું “સુશાસન એ સેવા”નું સૂત્ર હવે દરેક વિભાગના કાર્યોમાં પ્રતિબિંબિત થઈ રહ્યું છે. રોડ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, મહિલા સશક્તિકરણ અને ડિજિટલ સેવાઓ જેવા અનેક ક્ષેત્રોમાં ગુજરાત સતત પ્રગતિના નવા ધોરણો સ્થાપી રહ્યું છે. તેમજ લોકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવાના પ્રયત્નો છે.

આ વિકાસ સપ્તાહ એ સંદેશ આપે છે કે વિકાસ એ કોઈ એક દિવસનો કાર્યક્રમ નથી, પરંતુ સતત ચાલતો એક સંકલ્પ છે. જેમાં સરકાર, તંત્ર અને જનતા ત્રણેયના સહયોગથી સર્વાંગી વિકાસ શક્ય બને છે.
કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યો હતો. લાભાર્થીઓએ પોતાના અનુભવો શેર કર્યા હતા. અંતે સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને સૌએ વોકલ ફોર લોકલના મંત્ર સાથે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.પ્રારંભમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી અશોકભાઈ વસાવા દ્રારા સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતાં.કાર્યક્રમનું સફળતાપૂર્વક સુચારુ સંચાલન શ્રી દેવ મોગરા માઈ ટ્રસ્ટનાં પ્રમુખશ્રી નાનસીંગભાઈ વસાવા દ્રારા કરવામાં આવ્યું હતું.પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્રારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું જેમને રોકડ પુરસ્કાર આપી પ્રમુખશ્રી દ્રારા પ્રોત્સાહિત કર્યા હતાં.

આ પ્રસંગે ડેડીયાપાડાના પ્રાંત અધિકારી સુશ્રી જુહી પાંડે, સાગબારા મામલતદારશ્રી નીતિન મકવાણા, તાલુકા વિકાસ અધિકારીશ્રી અશોકભાઈ વસાવા, સરપંચ શ્રીમતી દર્શનાબેન વસાવા, આઈ.સી.ડી.એસ વિભાગ, આરોગ્ય વિભાગ, આચાર્યશ્રી, તલાટીઓ, આંગણવાડી બહેનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહીત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

error: