Satya Tv News

સુરતમાં કોરોનાની ચોથી લહેરના એંધાણ વચ્ચે ઉનાળું વેકેશન પૂર્ણ થતાની સાથે આજે શાળાઓ શરૂ થઈ છે. ભૂલકાઓ વહેલી સવારે શાળામાં પહોંચ્યા હતા. 90 ટકા હાજરી સાથે પહોંચેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે શાળા સંચાલકો અને શિક્ષકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ બાળકોને હર્ષોલ્લાસ સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. બાળકોના ચહેરા ઉપર પણ સ્મિત સ્પષ્ટ દેખાતું હતું. ઘણા સમયથી ઘરે રહ્યા બાદ આજે ઉનાળું વેકેશન પૂર્ણ થતાની સાથે જ બાળકો પોતાના પુસ્તકો સાથે શાળાએ પહોંચી ગયા હતા. જોકે, શાળાઓ દ્વારા વાલીઓને સૂચના આપવામાં આવી છે કે, બાળકોમાં શરદી ઉધરસ કે તાવ જેવું લાગે તો તેમને શાળાએ મોકલવા નહીં.

કોરોના સંક્રમણના પહેલા, બીજા, ત્રીજા અને હવે ચોથા તબક્કાના અણસાર દેખાઇ રહ્યા છે. ત્યારે સ્વભાવિક રીતે જ કોરાના સંક્રમણનો ભય હોય પરંતુ શાળામાં આવવાનો વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને વાલીઓ પણ ઉત્સાહભેર શાળાએ બાળકોને મુકવા માટે પહોંચ્યાં હતા. શહેરની તમામ શાળાઓમાં બાળકો આજે 90 ટકાથી વધુ હાજરીમાં દેખાયા હતા.

વેસુ વિસ્તારમાં આવેલી શારદાયતન શાળાના પ્રિન્સિપાલ હિમાંક શુક્લાએ જણાવ્યું કે સુરત શહેરમાં છેલ્લા દસ પંદર દિવસથી સતત કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા છે. હવે કોરાના પોઝિટિવ કેસો ડબલ ડિજિટમાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. છતાં પણ બાળકોની સુરક્ષામાં અમે કોઈપણ પ્રકારની કચાશ રાખવા નથી. બાળકો શાળામાં આવે તે પહેલાં તમામ સ્વચ્છતાની તૈયારી કરી લેવામાં આવી હતી. વોટર ટેંકથી લઈને અન્ય તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. બાળકોના વાલીઓને પહેલાંથી સૂચના આપવામાં આવી છે કે બાળકોમાં શરદી ઉધરસ કે તાવ જેવું લાગે તો તેમને શાળાએ મોકલવા નહીં.

પ્રેસિડેન્સી શાળાના આચાર્ય દીપિકા શુક્લએ જણાવ્યું કે અમે પણ શાળામાં વિદ્યાર્થીઓને ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. શિક્ષકો માટે પણ બાળકોને યાદ કરીને તેમને ભણવા માટેનો અપાર ઉત્સાહ સ્વાભાવિક રીતે દેખાય છે. કોરોનાકાળ દરમિયાન પણ અમે બાળકોને ખૂબ જ તકેદારી રાખી હતી કે તેમને કોઇપણ પ્રકારની તકલીફ ન થાય. અત્યારે ભલે કોરોનાના કેસો ઓછા છે પરંતુ અમે બાળકોની સ્વસ્થતાને સૌથી વધુ પ્રાધાન્ય આપવાના છે અને બને એટલું કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાના છે. જેથી કરીને બાળકોને કોઈ મુશ્કેલી ઊભી ન થાય.

error: