Satya Tv News

અરબી સમુદ્રમાં બનેલા વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાવાની શરુ થઈ ગઈ છે. વાવાઝોડું વધારે નજીક આવી રહ્યું છે તેટલી જ ગંભીર અસરો તેની થઈ રહી છે. આ વાવાઝોડાની સરખામણી વર્ષ 1998માં આવેલા વાવાઝોડા સાથે કરવામાં આવી રહી છે.

  • જૂન 1998માં ગુજરાતમાં આવ્યું હતું ખતરનાક વાવાઝોડું  
  • ગુજરાત સહિત સમગ્ર દેશમાં થયું હતું ઘણું નુકસાન
  • જૂન મહિનામાં જ આવેલા તોફાને ભયંકર તબાહી મચાવી
  • બિપોરજોયને પણ 1998ના તોફાનની જેમ માનવામાં આવે છે ખતરનાક

અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, વાવાઝોડું બિપોરજોય જેમ-જેમ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા દરેક લોકો આ પ્રાર્થના કરી છે કે આ વાવાઝોડું નબળું પડે અને ઓછામાં ઓછું નુકસાન થાય. બિપોરજોય વાવાઝોડું 15 જૂને બપોરે કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના એલર્ટ અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છની સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતના ગાંધીનગર  અને અમદાવાદ સુધી તેની અસર જોવા મળશે, પરંતુ તેનું એપીસેન્ટર કચ્છ જ રહેશે. આવી સ્થિતિમાં કચ્છના લોકોમાં 1998માં આવેલા વાવાઝોડાની યાદો તાજી થઈ રહી છે. જ્યારે જૂન મહિનામાં જ આવેલા તોફાને ભયંકર તબાહી મચાવી હતી. બિપોરજોયને પણ 1998ના તોફાનની જેમ જ અત્યંત ખતરનાક માનવામાં આવે છે. જૂન 1998માં આવેલ વાવાઝોડાનું લેન્ડફોલ પણ ગુજરાતમાં થયું હતું. બિપોરજોય પણ ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે.

વર્ષ 1998માં આવેલું વાવાઝોડું સિંધ-ગુજરાત બોર્ડરે ટકરાયું હતું. આ વિનાશક ચક્રવાત 4 જૂને સર્જાયું હતું અને 8 જૂને લેન્ડફોલ થયું હતું. આ ચક્રવાતમાં 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. એક રિપોર્ટ મુજબ આ ચક્રવાતથી દેશભરમાં 10,000 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં ગુજરાતમાં સૌથી વધુ મોત નોંધાયા હતા. ગુજરાતમાં 1173 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 1500થી વધુ લોકો લાપતા થયા હતા. આ વાવાઝોડાની તબાહી એવી હતી કે આજે પણ કચ્છના લોકો આ વાવાઝોડાને યાદ કરીને કંપી ઉઠે છે.

8 જૂન 1998ના રોજ આવેલા વાવાઝોડાથી કચ્છના કંડલા બંદરને ભારે નુકસાન થયું હતું. આ વખતે પણ કંડલા પોર્ટને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યો છે. હજારો ટ્રકોના પૈડા સંપૂર્ણપણે થંભી ગયા છે અને બધાને દૂરના શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. 25 વર્ષના અંતરાલ પછી ફરીથી બિપોરજોય મોટી તબાહી સર્જે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે, રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. 

ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વિનાશક તોફાનમાં 1983ના વાવાઝોડાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. આમાં પણ ઘણું નુકસાન થયું હતું. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે થઈ હતી. સૌથી વધુ નુકસાન 1998માં થયું હતું. બે વર્ષ પહેલા મે મહિનામાં આવેલા વાવાઝોડામાં સરકારની તૈયારીઓને કારણે બહુ નુકસાન થયું ન હતું. આ વાવાઝોડામાં 174 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 81 લોકો લાપતા હતા. 1960થી લઈને અત્યાર સુધીમાં ગુજરાતમાં 7 વાવઝોડા ત્રાટક્યા છે. 1998ના વિનાશકારી ચક્રવાત પછી ગુજરાતમાં લેન્ડફોલ કરનાર સાતમું ચક્રવાત તૌકતે હતું.
 

error: