Satya Tv News

દેવમોગરા ધામ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ

આદિજાતિ સમાજના જનનાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીના ભાગરૂપે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતાં.

જન્મજયંતિની મુખ્ય ઉજવણી પૂર્વે વડાપ્રધાનશ્રીએ પૂજનીય દેવસ્થાન દેવમોગરા ધામ ખાતે યાહા મોગી પાંડોરી માતાની પૂજા-અર્ચના તેમજ દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. દર્શન દરમિયાન વડાપ્રધાનશ્રીએ દેશની એકતા, સર્વાંગી વિકાસ અને નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

યાહા મોગી માતાજીના દર્શન માટે પધારેલા વડાપ્રધાનશ્રીને ટ્રસ્ટના પ્રમુખશ્રી ધીરસિંહભાઈ વસાવાએ આદિવાસી પરંપરાગત પાઘડી પહેરાવી હતી. ત્યારબાદ ટ્રસ્ટના મંત્રીશ્રી કાંતિભાઈ કોઠારીએ વડાપ્રધાનશ્રીને ચાંદીનું કડુ પહેરાવ્યું. ઉપપ્રમુખશ્રી નાનસિંહભાઈ વસાવાએ આદિવાસી પરંપરાગત કોટી પહેરાવી, જ્યારે ટ્રસ્ટી મંડળ દ્વારા માતાજીની ચાંદીની પ્રતિકૃતિ સ્મૃતિરૂપે ભેટ આપવામાં આવી હતી. શાલ ઓઢાડી ટ્રસ્ટી મંડળે પણ વડાપ્રધાનશ્રીને આવકાર આપ્યો હતો. વડાપ્રધાનશ્રીએ સૌ ઉપસ્થિતો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધીને ભેટનો હૃદયપૂર્વક સ્વીકાર કર્યો હતો.

આદિવાસી પરંપરાગત વિધિ મુજબ વડાપ્રધાનશ્રીએ હિજારી પૂજન કરી દેવમોગરા માતાજીને ઘરેણાં, ચાંદીની ચેન સહિતનો સંપૂર્ણ શણગાર અર્પણ કર્યો હતો. દેવમોગરા ધામના પૂજારીશ્રીએ ૨૦૦૩ માં શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતાં ત્યારે આપેલા આશીર્વાદને યાદ કરતાં માતાના ચરણોમાં પ્રાર્થના કરી કે વડાપ્રધાનશ્રીને નિરોગી સ્વાસ્થ્ય, અખૂટ શક્તિ અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય, જેથી તેઓ દેશના વિકાસ અને વિકસિત ભારતના નિર્માણમાં સતત સેવા આપી શકે.

આ અવસરે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ સંગઠન પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતાં.

દેવમોગરા ધામ ખાતે સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, બિરસામુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી મધુકાર પાડવી તથા તમામ ટ્રસ્ટીશ્રીઓ પણ હાજર રહ્યાં હતાં.

દેવમોગરા ધામનો ટૂંકો ઇતિહાસ

સાતપુડાની ગિરિમાળાની ગિરીકંદરાઓમાં સ્થિત દેવમોગરા ધામ આદિજાતિ સમાજની કુળદેવી યાહા પાંડોરી (દેવમોગરા) માતાનું પ્રાચીન સ્થાનક છે. માન્યતા મુજબ હજારો વર્ષ પહેલાં ભયંકર દુષ્કાળના સમયમાં માતાજીએ અહીં કણી-કંસરીનું રૂપ ધારણ કરી પ્રજાને અન્ન આપવાનું દૈવી કાર્ય કર્યું હતું. તેથી માતાના અન્ન ભંડારો કદી ખૂટતા નથી એવી લોકમાન્યતા આજે પણ જીવંત છે.

સાતપુડાની ગિરીકંદરાઓની મનોહર પ્રકૃતિમાં સ્થિત આ આધ્યાત્મિક ધામ માત્ર મંદિર નહીં, પરંતુ આદિજાતિ સમાજની આસ્થા, પરંપરા અને સાંસ્કૃતિક ધરોહરનું જીવંત પ્રતીક છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાનના આદિજાતિ ભક્તો માતાજીને પોતાના કુળદેવી રૂપે પૂજે છે. દર વર્ષે લાખો ભક્તો અહીં માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરવા આવે છે. મહાશિવરાત્રિનો મેળો આ ધામની પ્રાચીન પરંપરાઓનું ખાસ આકર્ષણ છે.

રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

error: