Satya Tv News

સ્યુસાઇડનોટમાં લખ્યું :ઓઝોન ગ્રુપ જવાબદાર, મારી 33 કરોડની સંપત્તિના દસ્તાવેજ ન કર્યા

અમિત ચૌહાણ, એમ.એમ. પટેલ અને અતુલ મહેતા જવાબદારનો સ્યુસાઇડનોટમાં ઉલ્લેખ

ગઇકાલે સાંજે ઓફિસના સ્ટાફને મોડુ આવવાનું કહી આજે સવારે ઓફિસમાં આપઘાત કર્યો

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની જાણીતી કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મહેન્દ્ર ફળદુએ આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ પણ લખી રાખી હતી અને તે દરેક અખબારમાં મોકલવામાં આવી હતી. બાદમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની ઓફિસમાં ઝેરી દવા પી તેમજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ થતાની સાથે જ તેમના મિત્ર વર્તુળો તેમજ રાજકીય આગેવાનો પહોંચી ગયા હતા અને મૃતદેહને સિવિલ હોસ્પિટલ લાવી કાર્યવાહી હાથ ધરી છે. સ્યુસાઈડ નોટરૂપી પ્રેસનોટમાં તેમને આપઘાત પાછળ ઓઝન ગ્રુપ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે. અને લખ્યું છે કે, મારી 33 કરોડની મિલકતના દસ્તાવેજો કરી આપતા નથી.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નક્ષત્ર બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આજે સવારના સમયે ઝેરી દવા પી અને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરતા પહેલા એક સ્યુસાઇડ નોટરૂપી પ્રેસનોટ લખી હતી જે દરેક અખબારોમાં મોકલી હતી. આ પ્રેસનોટમાં તેમને તેમના આપઘાત પાછળ ઓઝોન ગ્રુપ જવાબદાર હોવાનું જણાવ્યું છે. સાથે જ અમિત ચૌહાણ, એમ.એમ.પટેલ , અતુલ મહેતા અને અમદાવાદના લોકો જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે.

બનાવની જાણ થતા તેમના પરિવારજનો મિત્રો તેમજ રાજકીય આગેવાનો સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ તેમના નજીકના મિત્ર છે તેઓ પણ આજે આ બનાવ બનતા અવાચક થઈ ગયા હતા. મિત્ર મહેન્દ્રભાઈ ક્યારે આવું પગલું ભરે તેવું સ્વપ્ને પણ વિચારી શકાય તેમ ન હતું પરંતુ આજે આ ઘટના બનતા સૌ કોઈ લોકો શોક થઇ ગયા છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસમોટર્મ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરાઇ છે જ્યાં મોટી સંખ્યામાં તેમના સંબંધીઓ, મિત્રો, રાજકીય આગેવાનો અને પરિવારજનો આવી પહોંચ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર ફળદુને સંતાનમાં એક જ દીકરો છે જેનું નામ પ્રિયાંક ફળદુ છે. એ પણ પિતાના વ્યવસાયમાં સાથે કામ કરતા હતા અને થોડા સમય પહેલા જ તેમના લગ્ન થયા હતા. ગઇકાલે રાત્રિના મહેન્દ્ર ફળદુએ ઓફિસ સ્ટાફને સવારે ઓફિસ મોડું આવવા માટે સૂચના આપી હતી અને પોતે સવારે 8.30 વાગ્યે ઘરેથી નીકળી સીધા ઓફિસ પહોંચ્યા હતા અને ઓફિસ પહોંચી આત્મહત્યા કરી લીધી હતી.

સ્યુસાઇડ નોટરૂપી પ્રેસનોટમાં વધુમાં જણાવ્યું છે કે, રાજકોટ શહેરનાં આગેવાન, સિનિયર એડવોકેટ, બિલ્ડર અને પાટીદાર આગેવાન એવા મહેન્દ્રભાઈ કે. ફળદુએ ‘સંકે ધી બેસ્ટ પુ એ કાપે’ રાજકોટ શહેરનાં બિલ્ડર એમ.એમ. પટેલ (સુરેજા), અમિતભાઈ ચૌહાણ, અતુલભાઈ મહેતા તથા અમદાવાદનાં ઓઝોન ગ્રુપનાં જયેશકુમાર કાન્તિલાલ પટેલ, દીપક મણીલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પથકુમાર કાન્તિલાલ પટેલ સાથે મળીને અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાનાં ગામ બલદાણામાં આશરે પાંચેક લાખ વાર જગ્યામાં ‘ધ તસ્કની બીચ સિટી’નાં નામનો પોજેક્ટ બનાવી રહ્યા છે.

આ પોજેક્ટમાં મહેન્દ્ર કેશવલાલ ફળદુએ પોતાનાં નામે, તેમનાં સગા-વ્હાલાનાં નામે આશરે 48000 ચારસ વાર જમીન વર્ષ 2007માં બૂક કરી હતી. તે જ રીતે તેનાં નાના ભાઈ રમેશ કેશવલાલ ફળદુ, શૈલેષ કેશવલાલ ફળદુ, તેનાં કાકા વિનયકાંત ટી. ફળદુ સહિતનાં અન્ય લોકોએ આશરે એક લાખ વાર જગ્યા મહેન્દ્ર ફળદુ મા૨ફતે બૂક કરાવી હતી અને તેનું પેમેન્ટ પણ વર્ષ 2007માં જ કરી આપ્યું છે. આ રકમ આશરે ત્રણ કરોડથી વધારે થાય છે. આ ૨કમ પણ વર્ષ 2007માં જ કંપનીમાં જમા કરાવી હતી.

આ બાબતે કંપની, કંપનીના ભાગીદારો સાથે ઘણા સમયથી વાદ-વિવાદો ચાલતાં હતાં, કંપનીવતી બુકિંગમાં મધ્યસ્થી તરીકે મહેન્દ્ર ફળદુ હતા, તેઓએ રોકાણકારોને યોગ્ય રકમ, મધ્યસ્થી કહે તેવી રકમ કંપનીને ચૂકવી હિસાબ પૂર્ણ કરવા પ્રયત્ન કરતાં હતાં, બુકિંગ સમયે કંપનીએ જણાવ્યું હતું કે, ડેવલોપમેન્ટ સાથેની જમીનનાં વેચાણ દસ્તાવેજો કરી આપવા માટે કંપનીને તથા તેનાં ડાયરેક્ટરોને ખૂબ જ વિનંતીઓ કરી હતી. પરંતુ તેમાં મહેન્દ્ર ફળદુને કોઈ સફળતા મળી નહી, કંપનીના ડાયરેક્ટરો સમાધાનને બદલે અવાર નવાર ધમકીઓ આપતાં હતાં, એમ. એમ. પટેલ અને તેમનાં પુત્ર પક્ષીન મનસુખભાઈ સુરેજા, અતુલભાઈ મહેતાએ આ અંગે ખોટા કારણો ઉભા કરીને પોલીસ ફરિયાદો પણ કરી હતી.

આમ કરીને બિલ્ડર રોકાણકારો ઉપર પોલીસ મારફતે ધમકીઓ આપતાં હતાં અને કંપનીના ડાયરેક્ટરો વિશેષમાં એવું પણ કહેતા હતાં કે, અમારે રાજકીય લોકો સાથે સંબંધ છે. મંત્રીઓ અમારા ભાગીદાર છે. રાજકીય આગેવાનો, સંસદ સભ્યો અમારી ઓફિસમાં બેસે છે અને તેમના કાર્યાલયો પણ અમારી જગ્યામાં છે, તે અમારા માણસો છે. અમારૂ કોઈ કંઈ કરી લેશે નહીં. IAS, IPS ઓફિસરો અમારે ત્યાં આવે છે, સારો ઘરોબો છે સતતને સતત ધમકીઓ આપતાં રહે છે. આમ કરીને માતબર રકમની જમીન મફતમાં પડાવી લેવાના ઈરાદાથી દસ્તાવેજો નહીં કરી આપતાં હોવાનું જાણવા મળ્યું છે.

ઓઝોન તસ્કની કંપનીના ડાયરેક્ટરોએ જમીનનાં દસ્તાવેજો ન કરી આપવા પડે તે માટે મહેન્દ્ર ફળદુ તથા તેના જેવા રોકાણકારોને ખૂબ જ આર્થિક, શારીરિક, માનસિક ત્રાસ આપી રહ્યા છે, રોકાણકારોની મોટી રકમોનું રોકાણ હોવાથી ઉકેલ લાવવો જ મુશ્કેલ હતો. કંપનીનાં ડાયેરક્ટોનાં કારણે મહેન્દ્ર ફળદુની આર્થિક સ્થિતિ, નાણાકીય સ્થિતિ બગડી ગઈ છે, મહેન્દ્ર ફળદુ મા૨ફતે બુકિંગ કરાવેલ લોકોને કંપની વતી મહેન્દ્ર ફળદુએ નાણા ચૂકવ્યા છે તેમ છતાં કંપની અને તેનાં ડાયરેક્ટરો નીંભર થઈને તે રકમ ચૂકવતાં નથી કે કોઈ જવાબ આપતાં નથી. કંપની અને તેના ડાયરેક્ટરોનાં આવા વ્યવહારોનાં કારણે બુકિંગ કરનારાઓ પૈકી ત્રણથી ચાર વ્યક્તિ અવસાન પામ્યા છે, તેની માટે પણ કંપની અને તેનાં ડાયરેક્ટરો પાસે પૈસા ચૂકવવા માટે વિનંતી કરી હતી તેમ છતાં કંપની અને તેનાં ડાયરેક્ટરોએ રકમ ચૂકવી નહીં કે તેમની અંતિમવિધિમાં પણ રકમ ચૂકવી નહીં. ત્યારે આવા લોકોએ મહેન્દ્ર ફળદુ મારફત બુકિંગ કરાવેલ હોવાથી તેઓ મહેન્દ્ર ફળદુની ઓફિસે આવે છે, મહેન્દ્રભાઈ ફળદુની ધંધાની જગ્યા ઉપર આવે છે અને ખૂબ જ હેરાન-પરેશાન કરે છે. કંપની અને તેનાં ડાયરેક્ટરોનાં ગેરયદેસર કૃત્યનાં કારણે રોકાણકારો મહેન્દ્ર ફળદુને ધાક ધમકીઓ, ત્રાસ આપે છે.

error: