Satya Tv News

2014થી અત્યારસુધીમાં 5મી વખત પેપર લીક થવાની ઘટના બની
વિરોધનાં સૂત્રો સાથે સ્ટિકર ચિપકાવવામાં આવ્યાં

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં BBA સેમેસ્ટર-5 અને BCOM સેમેસ્ટર-5ના પેપર લીક મામલે ચાર દિવસ બાદ કોઈ કાર્યવાહી ન થતાં આજે NSUI દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો. ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ અને પ્રભારીની આગેવાનીમાં 150 જેટલા કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા અને VCના રાજીનામાની માગ કરી હતી. જોકે કુલપતિ કે અન્ય કોઈ જવાબદાર સત્તાધીશ NSUIના આગેવાનોને મળ્યા નહોતા અને મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે NSUIનું ઘર્ષણ થયું હતું અને ધક્કામુકી થતાં દરવાજાના કાચ તૂટ્યા હતા અને પોલીસે NSUIના આગેવાન સહિત 15 જેટલા કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.

આ અંગે ગુજરાત NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં પેપર ફૂટ્યાની ઘટના સામે આવી છે, પરંતુ સરકાર દ્વારા કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી, જે સ્પષ્ટ દર્શાવે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સરકારના ઈશારે કામ કરી રહી છે. અમારી એક જ માગ છે કે કુલપતિએ હવે રાજીનામું આપી દેવું જોઈએ. તેમની અધ્યક્ષતામાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવે છે, તેથી જ આજે અમે લોકો અહીં ધરણાં કરવા આવ્યા છીએ અને અમારી એક જ માગ છે કે કુલપતિ રાજીનામું આપે અને વિદ્યાર્થીઓ સાથે જ અન્યાય થયો છે તો આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે

પેપર લીક મામલે ચાર દિવસ પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. જોકે આજે ચાર દિવસ થવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજે NSUIના આગેવાનો વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ કરવા પહોંચ્યું હતું. ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને ગુજરાતના પ્રભારી અંકુશ ભટનાગરની આગેવાનીમાં 150થી વધુ કાર્યકર્તા સાથે ઉગ્ર વિરોધ નોંધાવામાં આવ્યો હતો. સરકાર તેમજ VC વિરુધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી કુલપતિ ચેમ્બર તેમજ યુનિવર્સિટી કેમ્પસમાં સરકાર વિરોધી તેમજ કુલપતિ વિરોધનાં સૂત્રો સાથે સ્ટિકર ચિપકાવવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2014થી આજ દિવસ સુધીમાં આ 5મી વખત પેપર લીક થવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત અનેક કૌભાંડો પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સામે આવ્યા છે. ત્યારે દર વખતે વિવાદોમાં સપડાયા બાદ સત્તાધીશો કડક કાર્યવાહી કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરી કોઈને છોડીશું નહીં, આકરી સજા કરીશુંનાં માત્ર નિવેદનો જ મીડિયા સમક્ષ આપતા રહ્યા છે. ત્યારે આ વર્ષે એકહથ્થુ શાસન ચલાવતા ગિરીશ ભીમાણી યુનિવર્સિટીની છબિ ખરડવા પ્રયાસ કરનાર સામે લાલ આંખ કરશે કે પછી ‘તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ’ સમાન સ્થિતિનું નિર્માણ થશે એ જોવું મહત્ત્વનું રહેશે.

error: