Satya Tv News

ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભયાનક માર્ગ અકસ્માત
શ્રદ્ધાળુઓથી ભરેલી જીપ ખીણમાં ખાબકી
અકસ્માતમાં 9 લોકોના મોત, 2 લોકો લાપતા

ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ગુરુવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં મુનસ્યારીના હોકરા વિસ્તારમાં શ્રદ્ધાળુઓથી ભરેલી એક જીપ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ ભયાનક માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે બે લોકો લાપતા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન માટે ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જીપ લગભગ 600 મીટર ઉંડી ખીણમાં ખાબકી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તમામ શ્રદ્ધાળુઓ બાગેશ્વર જિલ્લાના શામાથી હોકરા મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની જીપ બેકાબૂ થઈને ખીણમાં ખાબકી હતી. જે બાદ મોટી સંખ્યામાં આસપાસના લોકોને એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મૃત્યુઆંક હજુ પણ પણ વધી શકે છે.

પિથોરાગઢ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના નાચની પોલીસ સ્ટેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે મસૂરી-હોકરા હાઈવે પર સપ્લાય ગોડાઉન પાસે એક માર્ગ અકસ્માત સર્જાયો છે. પોલીસ ફોર્સ, SDRF અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે. દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો બાગેશ્વર જિલ્લાના કપકોટ, શામા અને ભનારના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટનાની માહિતી મળતાં જ કપકોટથી SDRF અને પોલીસની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે.

આ દુર્ઘટના પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે તેમણે રાહત અને બચાવની કામગીરી માટે રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું છે.

error: