Satya Tv News


ઝઘડિયાના ગુમાનદેવ ખાતે બાઇક ચાલકનું મોત
વાહન ચાલકે અડફેટમાં લેતા બાઇક ચાલકનું મોત
પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ખાતે રોડ ઉપર કોઇ અજાણ્યા વાહનની અડફેટે એક મોટરસાયકલ ચાલક ઇસમનું મોત નીપજ્યું હતું.

ઝઘડિયા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ મુળ ઉત્તરપ્રદેશનો અને હાલ સુલતાનપુરા ઝઘડિયા ખાતે રહેતો રાકેશ અલખધારી યાદવ નામનો ઇસમ પોતાની મોટરસાયકલ લઇને ગત તા.૯ મીના રોજ મુખ્ય ધોરીમાર્ગ પરથી જતો હતો, ત્યારે ગુમાનદેવ રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે રાકેશની મોટરસાયકલને અડફેટમાં લેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રાકેશને શરીર પર ગંભીર ઇજાઓ થતાં એમ્બ્યુલન્સમાં અંકલેશ્વર ખાતે ખાનગી દવાખાને સારવાર માટે લઇ જવાયો હતો, જ્યાં રાતના દશેક વાગ્યાના સમય દરમિયાન ફરજ પરના તબીબે રાકેશને મરણ પામેલ જાહેર કર્યો હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક તેનું વાહન લઇને નાશી ગયેલ હતો. અકસ્માતની આ ઘટના બાબતે મૃતકના મિત્ર કિરીટ પ્રવિણસિંહ દેસાઇ રહે.ભોલાવ ભરૂચ અને મુળ રહે.નાનાસાંજા તા.ઝઘડિયાનાએ ઝઘડિયા પોલીસમાં અકસ્માત સર્જી નાશી ગયેલ અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. તાલુકામાં વધતા જતા અકસ્માતોને લઇને તાલુકાની જનતામાં ચિંતા ફેલાવા પામી છે.

વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા

error: