ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જઘન્ય અપરાધ કરનારાઓને સજા આપવા માટે છેલ્લા કેટલાક સમયથી અપનાવાયેલું બુલડોઝર મોડેલ ચર્ચાનો વિષય બન્યું છે, ત્યારે ગુજરાતમાં પણ પ્રજ્ઞેશ પટેલના બંગલા પર બુલડોઝર ફેરવાશે તેને લઈને ચર્ચા શરૂ થઈ છે.
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ આખું ગુજરાત હચમચી ગયું છે. 9 લોકોના જીવ લેનાર આરોપીની પોલીસે ધરપકડ કરીને તેના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ ઉપરાંત આરોપીના પિતાની પણ ધરપકડ કરીને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આ વચ્ચે હવે એવી અટકળો વહેતી થઈ છે કે ગુજરાત રાજ્યનું ગૃહ વિભાગ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવી પેર્ટન અપનાવવા જઈ રહ્યું છે. એટલે કે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની જેમ રાજ્યનું ગૃહ વિભાગ પણ આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના ઘર પર ‘બુલડોઝર’ ફેરવવાનું વિચારી રહ્યું છે.
પ્રજ્ઞેશ પટેલ અને તેનો પાર્ટનર ઘણા ફોજદારી કેસોમાં સંડોવાયેલો છે અને તેમની પાસે બિનહિસાબી આવક પણ છે, એવું લાગી રહ્યું છે કે પ્રજ્ઞેશ પટેલે અમદાવાદના ગોતા વિસ્તારમાં આ કાળી કમાણીથી જ વૈભવી બંગલો ‘હરે શાંતિ’ ઊભો કર્યો છે. તેથી અમે વિચારી રહ્યા છીએ કે શું તેને પાઠ ભણાવવા માટે તેનું ઘર તોડી પાડવામાં આવે.