રાજસ્થાનમાં એક દંપતીએ આત્મહત્યા કરી લીધી કારણ કે તેમની પુત્રીએ તેના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. દંપતી આત્મહત્યા બાદ એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, અમારી દીકરીએ લવ મેરેજ કર્યા છે. જેના કારણે અમે (પતિ-પત્ની) પરેશાન છીએ અને આત્મહત્યા કરી રહ્યા છીએ. પોલીસે મારા પુત્રને હેરાન ન કરવો. સુસાઈડ નોટમાં આટલું લખ્યા બાદ દંપતીએ ચાલતી ટ્રેનની સામે ઝંપલાવ્યું હતું. આ ઘટના પાલી જિલ્લામાં પાલી-જોધપુર હાઈવે નજીક બની હતી. મંગળવારે દંપતીએ આત્મહત્યા કરી લીધા બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.
આ અંગે પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસે પતિ-પત્નીના મૃતદેહ બહાર કાઢ્યા હતા. સદર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર સત્યનારાયણ રાજપુરોહિતે આ ઘટનાની પુષ્ટિ કરી હતી. પોલીસે જણાવ્યું કે, મૃતકોની ઓળખ અશોક વ્યાસ અને તેમની પત્ની મીના વ્યાસ તરીકે થઈ છે. આ દંપતી પાલીના ઓલ્ડ હાઉસિંગ બોર્ડના રહેવાસી છે. મૃતકોના મૃતદેહને બાંગર હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
જોકે, પોલીસ હજુ મૃતક દંપતીના પુત્ર સાથે સંપર્ક નથી કરી શકી. દંપતીના પુત્રનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ છે. છોકરા વિશે કોઈને કંઈ ખબર નથી. શબઘરમાં દંપતીને મૂકીને પોલીસ હજુ તેમના પુત્ર અથવા અન્ય સબંધીઓની તલાશ કરી રહી છે.