Satya Tv News

સુરતના વરાછા ધરમનગર રોડ રુસ્તમબાગ સ્થિત સ્વામીનારાયણ મંદિરના સ્વામી ન્યાલકરણદાસજીને ગત સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં એક વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ નવસારીના શૈલેશભાઈ છગનભાઈ ઉધાડ તરીકે આપી હતી.તેણે કહ્યું હતું કે મારે ત્યાં બાળકનો જન્મ થયો હોય તેની ખુશીમાં બાળલાલજીને સોનાથી તોલવા છે, મારા દીકરા રુદ્રના વજન જેટલા ચાંદીથી તોલવાનો સંકલ્પ કર્યો છે.અઠવાડીયા સુધી ફોન પર વાત કર્યા બાદ શૈલેશભાઈ ગત 15 સપ્ટેમ્બરે સવારે સાત વાગ્યે મંદિરે આવ્યા હતા અને સ્વામીને સોનાચાંદીના દાગીનાની વ્યવસ્થા કરી રાખવા કહી અમે સપરિવાર સાંજે ચાર વાગ્યે આવી ધામધૂમથી વિધી કરીશું તેમ કહ્યું હતું.શૈલેશભાઈએ દાગીનાની જે રકમ થશે તે ચેક કે રોકડાથી આપવાની વાત પણ કરી હતી.

શૈલેશભાઈ બપોરે બાર વાગ્યે બીજા બે વ્યક્તિને લઈને આવ્યા હતા અને અમારે જમવું છે કહી ત્યાં જમ્યા બાદ અમે નવસારીથી આવ્યા છીએ તેથી થાકી ગયા છીએ એટલે આરામ કરવો છે તેવું કહેતા સ્વામીએ તેમને એક રૂમની ચાવી આપી હતી.દોઢ વાગ્યે શૈલેશભાઈ ફરી સ્વામી પાસે આવ્યા હતા અને ઘરેથી મહિલાઓ આવી છે, અમારે છાબ ગોઠવવી છે, ફોટા પાડવા છે તેથી આભૂષણો આપો કહેતા સ્વામીએ તેમને રૂ.9 લાખની મત્તાના 152 ગ્રામ સોનાના દાગીના અને રૂ.3.43 લાખની મત્તાના 4 કિલો 900 ગ્રામ ચાંદીના દાગીના આપતા તે રૂમમાં લઈ ગયા હતા.3.30 વાગ્યે સ્વામીએ મહેતાજી નવીનભાઈને શૈલેશભાઈને બોલાવવા રૂમમાં મોકલ્યા તો રૂમમાં કોઈ નહોતું અને રૂ.12.43 લાખના દાગીના પણ ગાયબ હતા.

સ્વામીએ આ અંગે તરત તેમના પરિચિત વેપારી અનિલભાઇ ધનજીભાઇ કાકડીયાને જાણ કરતા તે મંદિરે દોડી આવ્યા હતા અને ટ્રસ્ટીઓ સાથે વાત કરી પોતાની રીતે તપાસ કરી બાદમાં તેમણે ગતરોજ શૈલેશભાઈ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૂળ રાજકોટના જેતપુરના વતની અને અમદાવાદ નિકોલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી એ-307 માં રહેતા શૈલેશભાઈ ઉઘાડ હાલમાં બોટાદમાં પણ મંદિરમાં આ રીતે જ ઠગાઈ કરતા ઝડપાયા છે.

error: