Satya Tv News

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સમર્પણ એપાર્ટમેન્ટમાં રહેતા અભી કુમાર સિદ્ધપરા જેઓ અભિષેક એપાર્ટમેન્ટ સામે દીપમાલા કોમ્પ્લેક્સમાં જય અંબે ડેરી પાર્લર ચલાવે છે. તેમને દોઢ વર્ષ પહેલા આરોપી તુષાર ભોલેનાથ કોસ્ટીને નોકરી ઉપર રાખ્યો હતો. તે ફરિયાદીના ઘરે જ રહેતો હતો. પરંતુ તેને દારૂ પીવાની લત પડતા તેને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. આરોપીએ બીજે નોકરી શોધી લીધી હતી. પરંતુ આરોપી ફરિયાદીના ઘરે સૂવા આવતો હતો.ગઈકાલે સવારે ફરિયાદી પોતાની ડેરી પાર્લર ખાતે કામે ગયા હતા અને પોતાના ત્રણ સંતાનો પૈકી સૌથી મોટા 15 વર્ષીય દીકરાને કામ અર્થે ડેરીએ બોલાવ્યો હતો. જ્યારે બે સગીર દીકરીઓ 14 વર્ષની આસ્થા અને 12 વર્ષની સાક્ષી ઘરે હતા. આ દરમિયાન ડેરીએ ફરિયાદીના મોબાઈલ ઉપર મેસેજ આવ્યો હતો કે, તેમના બેંક એકાઉન્ટમાંથી ATM મારફતે 10 હજાર રૂપિયા ઉપડ્યા છે. જો કે, ફરિયાદીનું ATM કાર્ડ ઘરે હોવાથી તેમને શક જતા તેઓ ઘરે પહોંચ્યા હતા.

ઘરે પહોંચતા ઘરની અંદરનું દ્રશ્ય જોઈને તેઓ હેબતાઈ ગયા હતા. તેમની બંને દીકરીઓ લોહી લુહાણ હાલતમાં પડી હતી. જ્યારે બાજુમાં જ લોહીથી રંગાયેલો ધાતુનો પાઇપ પડ્યો હતો. ઘરનો સામાન વેરવિખેર હતો અને તિજોરી ખુલ્લી હતી. બંને દીકરીઓની પૂછપરછ કરતા ફરિયાદીને જાણવા મળ્યું હતું કે, આરોપી તુષાર કોષ્ટી તેમના માથાના ભાગે પાઈપો મારીને તિજોરીમાંથી પૈસા અને ATM કાર્ડ લઈ ગયો હતો. ફરિયાદીએ તુરંત જ પોતાની બંને દીકરીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. જ્યાં આસ્થાના માથામાં હેમરેજ અને ફ્રેક્ચર હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે નાની દીકરી સાક્ષીના કપાળમાં ફ્રેક્ચર માલુમ પડ્યું હતું.

ફરિયાદીએ આ મામલે વટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. દિવ્ય ભાસ્કરે વટવા PI કુલદિપ ગઢવીનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી. જો કે પોલીસ ઇન્સ્પેક્ટરે ફોન ઉપાડ્યો ન હતો. વધુમાં હેબતાઈ ગયેલા ફરિયાદીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં રડમસ આવાજમાં જણાવ્યું હતું કે, તેની એક દીકરીના માથામાંથી મગજ બહાર નીકળી આવ્યું હતું. તેમની બંને દીકરીઓ ખાનગી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

error: