નાકરાવાડી નજીક વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં સવારે 9 વાગ્યે આગ લાગતા દોડધામ મચી છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા શરૂઆતમાં એક અને બાદમાં આગ વિકરાળ હોવાથી વધુ ચાર ગાડી સ્થળે બોલાવામાં આવી છે. હાલમાં 50થી વધુ ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પણ આગને કારણે મોટું નુકસાન થવા પામ્યું છે. શરૂઆતમાં આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા પાંચ કિલોમીટર સુધી દેખાયા હતાં.
રાજકોટ મનપાનાં ફાયર ઓફિસર આર. એ. જોબને જણાવ્યું હતું કે, હાલ 50 જેટલા ફાયરના જવાનોની ટીમો આગ પર કાબુ મેળવવા કામ કરી રહી છે. આગ ઓઇલ ટેન્કમાં ફેલાઈ હતી, જેના ઉપર મિકેનિકલ ફોર્મનો મારો ચલાવીને કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નુક્સાનીનો હજુ કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. પરંતુ આગ લાગી ત્યારે અંદર કોઈ નહીં હોવાની ખાતરી અગાઉ જ કરી લેવામાં આવી છે. જેથી જાનહાનિ થવાની કોઈ શક્યતા નથી. હાલ ચાર ગાડીની મદદથી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને પાંચમી ગાડી ટૂંક સમયમાં જ આવી રહી છે. પાણી માટે ફેકટરીમાં આવેલા મોટા ટાંકામાંથી પાણી લેવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં આગ કાબુમાં આવી જાય તેવી શક્યતા છે.