અંકલેશ્વર તાલુકાના કઠોદરા પારડી ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. કનુભાઈ પરમારના શેરડીના ખેતરમાં કાપણીનું કામ ચાલી રહ્યું હતું. શ્રમજીવીઓએ શેરડી સળગાવી હતી. આગ અન્ય ખેતરમાં ન ફેલાય તે માટે કેટલાક શ્રમજીવીઓ શેઢા પર ઊભા હતા.આ દરમિયાન શેરડીના ખેતરમાંથી અચાનક જંગલી ભૂંડ નીકળ્યું અને તેણે વિશાલ નામના કિશોર પર હુમલો કર્યો હતો. પુત્રને બચાવવા માટે તેના 40 વર્ષીય પિતા રવિન્દ્ર વલવી દોડી ગયા. જંગલી ભૂંડે તેના પર પણ હુમલો કરતા ગંભીર ઈજાઓને કારણે રવિન્દ્રનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં પાનોલી પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની હદ પર આવેલા સુરતના ગામોમાં જંગલી ભૂંડના હુમલાના અનેક બનાવો બની ચૂક્યા છે. ખેડૂતોએ સાવચેત રહેવાની સાથે તંત્ર પાસે જંગલી ભૂંડના ત્રાસ સામે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.