
ભોપાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક નવપરિણીત મહિલા ભડભડા પુલ પરથી ડેમના ઊંડા પાણીમાં કૂદી પડી. કથિત રીતે, મહિલાએ દહેજના ત્રાસ અને પતિના ખરાબ વર્તનથી પરેશાન થઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.નવપરિણિતાએ મંગળવારે મોડી સાંજે ભડભડા ડેમમાં ભૂસકો માર્યો, જે પછી સ્થાનિકો અને પોલીસે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. ઊંડા પાણીમાં ડૂબી જાય એ પહેલાં તેને બચાવી લેવામાં આવી અને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી. હાલમાં, તેની હાલત ગંભીર છે અને સારવાર ચાલુ છે.
તપાસમાં જાણવા મળ્યું કે નવપરિણિતાએ ડેમમાં કૂદતા પહેલા તેના વોટ્સએપ સ્ટેટસ પર એક ભાવુક મેસેજ લખ્યો હતો જેમાં તેણે તેના પતિ અભિષેક પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેને લખ્યું, “મારે લોકોને એક જ વાત કહેવી છે કે પોતાની દીકરીના લગ્ન ખૂબ જ સમજીવિચારીને કરાવજો. જો તેનું જીવન નર્ક બનાવવું હોય તો જ લગ્ન કરાવજો અને જો મહાનર્ક બનાવવું હોય તો મારા પતિ અભિષેક સાથે લગ્ન કરાવજો.” આગળ લખ્યું, “ભાઈ, જો મને કંઈ થઈ જાય, તો સંબંધીઓને એક કપ ચાનો પણ ન પીવડાવતા, કોઈને આમંત્રણ પણ ન આપતાં, જો આ લોકો આવ્યા, તો મારી આત્માને આગમાં બાળવા જેવું થશે. મને ક્યારેય શાંતિ નહીં મળે. એના કરતા 11 ભૂખ્યા લોકોને ભોજન કરાવી દેજો.”
નવપરિણીત મહિલાએ તેના પતિ પર અન્ય છોકરીઓ સાથે સંબંધો રાખવાનો અને તેને સતત હેરાન કરવાનો આરોપ લગાવ્યો. સ્ટેટસમાં લખ્યું, “અભિજી તમે ક્યારેય મારા પ્રેમને સમજી શક્યા નહીં, હું રડતી રહી અને તમે મને રડતી જોઈને હસતા રહ્યા, મેં તમને ઘણી વાર સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તમે ન સમજ્યા, બીજી છોકરીઓના ચક્કરમાં રહ્યા, વિચાર્યું કે આજે નહીં તો કાલે તમે સુધરી જશો, પણ તમે મારો છેલ્લો પ્રેમ છો, જે દિવસે હું તમારાથી દૂર જઈશ, તમે તો એ જ દિવસે બીજા લગ્ન કરી લેશો. આજે મમ્મી બીજા લગ્ન વિશે વાત કરે છે, ત્યારે મને રડવાનું મન થાય છે, પણ તમને શું, તમને તો એક ગર્લફ્રેન્ડ ક્યાં જોઈએ છે, 4-5 જોઈએ છે.”