Satya Tv News

અંકલેશ્વરના અમરતપુરા ગામ પાસે રાજયની ચોથી સૌથી મોટી હવાઇપટ્ટી બનાવવા માટેની કવાયત વેગવંતી બનાવી દેવામાં આવી છે. 2.5 કિમીથી વધુની લંબાઇ ધરાવતી એરસ્ટ્રીપ હાલ અમદાવાદ, વડોદરા અને સુરતમાં ઉપલબ્ધ છે.આગામી 18 મહિનામાં અંક્લેશ્વરની હવાઇપટ્ટી કાર્યરત કરી દેવાય તેવી સંભાવના છે. રાજયના ઉડ્ડયનમંત્રી પુર્ણેશ મોદીએ સ્થળની મુલાકાત લઇ કોન્ટ્રાકટરને જરૂરી સુચના આપી હતી. અઢી કીમી લાંબી હવાઇપટ્ટી પરથી બોઇંગ અને એરબસના મોટા વિમાનો પણ ઉડાન ભરી શકે તેવું આયોજન કરવામાં આવી રહયું છે.

અંકલેશ્વરના અમરતપુરા ગામ પાસે છેલ્લા 30 વર્ષથી હવાઇપટ્ટી બનાવવાનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે. દર વર્ષે બજેટમાં તેની જાહેરાત કરવામાં આવે છે પણ આજદિન સુધી હવાઇપટ્ટી પરથી એક પણ વિમાને ઉડાન ભરી નથી. હવાઇ પટ્ટીનો પ્રોજેકટ સાચા અર્થમાં હવાઇ બની ગયો છે. ઔદ્યોગિક હબ ધરાવતાં ભરૂચ જિલ્લામાં હવાઇ પટ્ટીની તાતી જરૂરીયાત હોવા છતાં સરકાર નકકર કાર્યવાહી કરતી ન હોવાની બુમો ઉઠી છે. ડીસેમ્બર -2021માં અમરતપુરા ખાતે કાર્ગો સર્વિસ સેવા ઉભી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અંદાજે 90 કરોડ રૂપિયાના ખર્ચે ઈજારો આપવામાં આવ્યો હતો.

હાલ અઢી કિ મી લાંબો રનવે તૈયાર કરવામાં આવી રહ્યો છે. 18 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની મુદત છે જે વચ્ચે ગત રોજ રાજ્યના ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી તેમજ દુષ્યંત પટેલે એર સ્ટ્રીપ ની ઓચિંતી મુલાકાત લીધી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઇજારદાર દ્વારા કામગીરી 18 મહિના કરતા પહેલા પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.

error: