નવો પુલ શરુ થતાં ઝઘડિયાથી ડભોઇ વચ્ચે ૧૫ કિલોમીટર જેટલું અંતર ઓછુ થઇ જશે
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના સામા કાંઠે વડોદરા જિલ્લાના શિનોર તેમજ કરજણ તાલુકાના ગામો આવેલા છે. ઝઘડિયા તાલુકાના અશા થી શિનોર તાલુકાના માલસરને જોડતા નર્મદા નદી પરના નવા બનાવેલ પુલની કામગીરી લગભગ પુર્ણ થઇ ગઇ છે. આ પુલ બનાવવાનું શરુ થયું ત્યારે નર્મદા નદીના બન્ને કાંઠાના રહીશોમાં ખુશીનો માહોલ છવાયો હતો. હાલ પુલની કામગીરી લગભગ સંપન્ન થઇ ગઇ છે ત્યારે પુલ ની જરુરી ચકાસણી અને અન્ય જે કોઇ પ્રોસેસ બાકી હોય તે નીપટાવીને પુલ તાકીદે ખુલ્લો મુકવામાં આવે તે જરુરી છે. ઝઘડિયા રાજપારડી ઉમલ્લા પંથકમાંથી હાલ ડભોઇ તરફ જવા માટે વાયા રાજપિપલા સેગવા ના માર્ગનો ઉપયોગ કરીને જઇ શકાય છે, ત્યારે આ નવો પુલ શરુ થતાં ઝઘડિયા થી ડભોઇ વચ્ચે સીધો અને ટુંકો રૂંટ મળતા લોકોના કિંમતી સમય અને નાણાંનો યોગ્ય બચાવ થઇ શકશે. આ નવો પુલ શરુ થતાં હાલના વર્તમાન રુંટ કરતા ૧૫ કિલોમીટર જેટલું અંતર ઓછુ થઇ જતા નર્મદાના બન્ને કાંઠા વિસ્તારના નાગરીકો માટે સુંદર સુવિધા ઉપલબ્ધ થઇ શકશે. પુલ વિધિવત શરુ થવાની રાહ જોઇને ઉભો છે. ત્યારે તાકીદે આ બાબતે ઘટતું કરાય તે ઇચ્છનીય છે. ઉલ્લેખનીય છેકે આ નવા પુલને જોડતો નવો રુંટ શરુ થાયતો બન્ને તરફના વિસ્તારો એકબીજા સાથે એસટી બસ તેમજ અન્ય વાહનવ્યવહારથી પણ જોડાઇ શકે.