Satya Tv News

વર્ષ ૨૦૨૩-૨૪ નું વિવિધ વિભાગોનું આયોજન રજૂ કરાયું : નર્મદા જિલ્લામાં કુલ રૂ. ૧૮૯૪.૬૬ લાખની જોગવાઈ સામે રૂ. ૨૧૩૧.૫૮ લાખનું આયોજન અંદાજિત ૧૨ ટકા વધારે આયોજન કર્યુ છે. જેમાં ૬૧૫ કામોને આવરી લેવાયા જેમાં અંદાજિત ૧૯૩૬ લાભાર્થીને થનારો લાભ

એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના પ્રભારી અને રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં ગુજરાત પેટર્ન યોજના આદિજાતિ વિકાસ મંડળની બેઠક જિલ્લાના ચૂંટાયેલા જન પ્રતિનિધિ અને વહીવટી તંત્રના અમલીકરણ અધિકારીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી સભાખંડમાં વર્ષ-૨૦૨૩-૨૪ ના આયોજન અમલવારી અંગે બેઠક મળી હતી.

આ બેઠક પૂર્વે મંત્રીશ્રીએ આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત, આદર્શ નિવાસી શાળા મિશ્ર-તિલકવાડા, અને આદર્શ નિવાસી શાળા ગરૂડેશ્વરની આકસ્મિક મુલાકાત લીધી હતી. જેમાં રહેવા જમવાની સુવિધા કલાસરૂમ, રસોડું અને ભોજન સામગ્રીની ચકાચણી કરીને વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. ભોજનની ગુણવત્તા પણ ચકાચી હતી.

પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજીની અધ્યક્ષતામાં ગુજરાત પેટર્ન આયોજન બેઠકમાં વર્ષ-૨૦૨૩-૨૪ નું જિલ્લાના વિવિધ ૨૨ વિભાગોનું આયોજન પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેને મંત્રીશ્રીએ બહાલી આપી હતી. જેમાં નર્મદા જિલ્લાની કુલ નાણાકીય જોગવાઈ રૂ. ૧૮૯૪.૬૬ લાખની સામે કુલ રૂ. ૨૧૩૧.૫૮ લાખની જોગવાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જે ૧૨ ટકા વધારે છે. જેમાં કુલ ૬૧૫ કામોનો સમાવેશ કરી અંદાજિત ૧૯૩૬ લાભાર્થીને આવરી લેવામાં આવ્યા છે.

આ કામોમાં સદરવાઈઝ જોઈએ તો પાક કૃષિ વ્યવસ્થા બાગાયત, પશુપાલન, ડેરી વિકાસ, મત્સ્યોદ્યોગ, વન વિકાસ, સહકાર, ગ્રામવિકાસ, નાની સિંચાઈ વિસ્તાર વિકાસ, વિજળીકરણ, ગ્રામ અને લઘુ ઉદ્યોગ, રસ્તા અને પુલો, નાગરિક પુરવઠો, શિક્ષણ તાંત્રિક, તબીબી અને જાહેર આરોગ્ય, પાણી પુરવઠો, શ્રમ અને રોજગાર, પોષણ, મધ્યાહન ભોજન યોજના જેવી બાબતોનો સમાવેશ થાય છે.

નર્મદા જિલ્લામાં કુલ રૂ. ૧૮૯૪.૬૬ લાખની જોગવાઈ સામે નાંદોદ તાલુકામાં રૂ. ૪૭૪.૪૮ લાખ, ગરૂડેશ્વર તાલુકામાં રૂ. ૩૦૪.૩૨ લાખ, દેડીયાપાડામાં રૂ. ૫૫૦.૨૪ લાખ, સાગબારા તાલુકામાં ૩૫૮.૨૩ લાખ અને તિલકવાડા તાલુકામાં રૂ. ૨૦૭.૪૦ લાખની જોગવાઈનો સમાવેશ થાય છે.

આ બેઠકને સંબોધતા મંત્રીશ્રી પરમારે જણાવ્યું હતું કે, અહીં રજૂ થયેલા કામોને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના ઉપસ્થિતિમાં બહાલી આપીને મંજૂર કરવામાં આવે છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને આદિજાતિ વિસ્તારમાં કામો ગુણવત્તા યુક્ત અને સમયસર પૂર્ણ થાય અને વિકાસના કામોને સૌએ વેગ આપી જિલ્લાની પ્રગતિમાં સહયોગ કરવા અપિલ કરી હતી. બાકી રહી ગયેલા કામો ઝડપભેર પૂર્ણ કરી લોક સુખાકારીમાં વધારો કરવા આહવાન કર્યું હતું. જન પ્રતિનિધિઓનો સૂચનો અને કામોને પણ પ્રાધાન્ય આપી સૌ સંપીને જિલ્લાના વિકાસની છાપને આગળ ધપાવીએ જિલ્લાની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. એકબીજા વિભાગોનું સંકલન અને સહકારથી કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખ, ડેડિયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, પ્રાંત અધિકારીશ્રી અને જિલ્લાના ટી.ડી.ઓ.શ્રી, વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: