કચ્છમાં રાપર તાલુકાના બેલા ગામે માત્ર 13 વર્ષના સગીરની તિક્ષણ હથિયાર વડે ગળુ કાપીને હત્યા કરાતા વાગડમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસ સુત્રોના અનુસાર મંગળવારે બપોરે રાપર તાલુકાનાં બેલા ગામ ખાતે આવેલા બિલેશ્વર મહાદેવના બગીચા પાસે એક સગીરનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પરિવારજનો અને બાલાસર પોલીસને કરાઈ હતી. જેથી તાત્કાલિક ઘટના સ્થળે પરિવારજનો અને પોલીસ પહોંચી હતી. આ મામલે ત્રણ મિત્રો શંકાના દાયરામાં આવ્યા હોવાનું ખુલ્યું છે. બેલા ગામની અલીયાજીની વસ્તીમાં રહેતા પ્રવીણ નામેરી રાઠોડ (ઉ.વ.13) નામના સગીરનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો, તેના શરીર પર તિક્ષણ હથિયાર વડે ઘા મારવામાં આવ્યા હોવાથી તેને રાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. મૃતકના ભાઈ દ્વારા જાણવા જોગ બાલાસર પોલીસમાં કરતાં બાલાસર પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ તથા ફરિયાદ નોંધાવા સહિતની કામગીરી હાથ ધરી હતી.
રાપર સરકારી હોસ્પિટલ ખાતે લવાયેલા સગીરના મૃતદેહ બાબતે તેના ભાઈએ જણાવ્યું કે સગીર છઠા ધોરણમાં ભણતો હતો. સવારે અમારી સાથે જીરું વાઢવા આવ્યો હતો અને બપોરે ઘરેથી જમીને તેના મિત્રો સાથે નજીક આવેલા બિલેશ્વર મહાદેવનાં મંદિર પાસે આવેલા બગીચામાં ગેમ રમતા હતા. જ્યાં કોઈ કારણોસર સગીર ઉપર હુમલો કરીને મોતને ઘાટ ઉતારાયો હોય તેવું નજીકના લોકો સાથે વાતચીતમાં જણાવી રહ્યા છે. સગીર વયના બાળકની હત્યાના બનાવ અંગેની જાણ થતાં ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.