Satya Tv News

ગુજરાતના માર્ગ અને મકાન વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવાથી ઉમરવા નવી વસાહત અંદાજે રૂા.૧.૯૯ કરોડના ખર્ચે તૈયાર થનાર ૨.૫૦ કિ.મી. રોડના ખાતમુહૂર્તના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા અંતરિયાળ અને છેવાડાના લોકોને અનેકવિધ જન કલ્યાણલક્ષી યોજનાઓના લાભો પહોંચાડીને લાભાન્વિત કરાયાં છે. ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવાથી ઉમરવા નવી વસાહત રોડનું ખાતમુહૂર્ત કરાયું છે ત્યારે લોકો એક સ્થળેથી બીજા સ્થળે સમયસર આવન જાવન સરળતાથી કરી શકશે તેમજ આ કામ પણ સમયસર પૂર્ણ કરવામાં આવશે તેવો મંત્રીશ્રી મોદીએ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ઉમરવાથી ઉમરવા નવી વસાહત તાંત્રીક મંજૂરી સાથે અંદાજે રૂા.૧.૯૯ કરોડના ખર્ચે ૨.૫૦ કિ.મી. નો રોડ તૈયાર કરાશે. આ રસ્તો બનવાથી ઉમરવા નવી વસાહતમાં વસતા ૫૪૮ જેટલા ગ્રામજનોને પાકા બારમાસી રસ્તાનો લાભ મળશે. તેમજ ઉમરવા ગામમાં વસતા ૧૭૨૧ જેટલા ગ્રામજનોને પાકા રસ્તાનો લાભ મળશે. જેમાં જી.એસ.બી. ૧૫૦.૦૦ એમ.એમ, ડબલ્યુ.બી.એમ એક લેયર ૧૫૦ એમ.એમ, બીજુ લેયર ૧૦૦ એમ.એમ, એક રો અને બે રોનું એક એચ.પી.ડ્રેઇન, ત્રણ રોનું વેન્ટેડ ડીપ તેમજ ૬ ગાળા, ૭ x ૪ મીટર બોક્સ કલ્વર્ટ બી.એસ.જી. ૩૭.૫૦ એમ.એમ, કારપેટ ૨૫ એમ.એમ અને સીલકોટ ૧૮.૦૦ એમ.એમની સાથે રોડ ફર્નિસીંગ તૈયાર કરાશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ વસાવા, ભરૂચ દુધધારા અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, પ્રાંત અધિકારીશ્રી પ્રિતેશભાઇ પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી એ.એસ.પટેલ અને જિલ્લાના અગ્રણી શ્રી વિક્રમભાઈ તડવી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: