Satya Tv News

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટસિટી-૧ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ- નવી દિલ્હી અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી બે દિવસીય ભારતીય ભાષા સંગમ શિબિરને ગુજરાતના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુ બેરાની ઉપસ્થિતિમાં શિબિરને ખુલ્લી મૂકાઈ હતી. અને ભારતીય ભાષા અંગેના ફોટો પ્રદર્શન, પુસ્તક પ્રદર્શનને રીબિન કાપી ખુલ્લું મુક્યું હતું.

મંત્રીની સાથે ઉદઘાટન સત્રમાં શિક્ષા-સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના રાષ્ટ્રીય સચિવ ડો. અતુલ કોઠારી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહાસચિવ ડો. જયેન્દ્રસિંહ જાદવ, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને સમગ્ર કાર્યક્રમના સંયોજક રાજેશ્વર કુમાર પણ જોડાયા હતા. અને સાઈન બોર્ડ પર માતૃભાષામાં મંત્રી સહિતના મહાનુભાવોએ પોતાની પ્રિય ભાશામાં હસ્તાક્ષક કર્યા હતા.

ઉદઘાટન સત્રમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાએ સંસ્કૃત ભાષામાં શિબિરની રૂપરેખા આપી સાહિત્યની તાકાત અને લાલીત્યનો પરિચય કરાવ્યો હતો. ભારતીય ભાષાઓનું મહત્વ, સંસ્કૃત ભાષાનું બધી ભાષામાં સ્થાન, પ્રેમની ભાષા અને ભાષા પ્રત્યેના પ્રેમને કેન્દ્રમાં રાખીને કાવ્યાત્મક શૈલીમાં મનનીય પ્રવચન આપી સાહિત્યનો સુપેરે પરિચય કરાવ્યો હતો.

આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી માન.ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધીના આ શિબિરમાં પધારેલા મહાનુભાવોને રોતાનો રેકોર્ડિંગ વીડિયો સંદેશથી સંબોધન કરીને પાઠવાયેલા વીડિયો સંદેશને આ અવસરે સૌએ નિહાળી સાંભળ્યો હતો. સૌરાષ્ટ્ર તમિલ સંગમને કેન્દ્રિત મલયાલમ ભાષામાં લખાયેલા મૂળ પુસ્તકનું “તિરુક્કુરલ”ના ગુજરાતી અનુવાદ પુસ્તકનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. બાદમાં ભારતીય ભાષાઓનું મહત્વ દર્શાવતી ટૂંકી ફિલ્મ દર્શાવાઈ હતી. સાથોસથ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૨ ભારતીય ભાષાઓમાં મંત્રીનું નામ લખેલી તેમની જ તસ્વીર સ્મૃતિભેટ રૂપે આપી હતી. ભારતની વિવિધ બોલી-ભાષા, પહેરવેશ, સંસ્કૃતિ સહિત વૈવિધ્યસભર વારસાને પ્રતિબિંબિત કરતું ભારતીય ભાષા સંગમ કાર્યક્રમનું થીમ સોન્ગ પણ આ અવસરે રજૂ કરાયું હતુ.

વિવિધતામાં એકતાના દર્શન કરાવતી પ્રાદેશિક અને માતૃભાષા જ્ઞાન વિજ્ઞાનને જોડવાનું કામ કરે છે. ભાષાના માધ્યમ થકી વહીવટમાં સરળતા અને લોકોને સમજણમાં ઉપયોગી બને છે. તે માટે ભારતના વિવિધ રાજ્યોની ભાષાનું એક પ્રદર્શન પણ આ કાર્યક્રમ સ્થળે રાખવામાં આવ્યું છે. જેને પણ મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ સાહિત્યકારોનો પરિચય દર્શાવાયો છે. સાથોસાથ શિબિરના સ્થળે બુક સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે.

ભારતીય ભાષા સંગમ શિબિરમાં બે દિવસ દરમિયાન વિવિધ વિષયોને કેન્દ્રમાં રાખીને ભાષા નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં વિવિધ વિષયો પર ગહન ચિંતન-ચર્ચાઓ વર્તમાન સમયની સ્થિતિ અને ચુનૌતી ભૂમિકા અંગે સત્ર દરમિયાન ભાષા અંગે આદાન પ્રદાન કરવામાં આવશે.

એકતાનગર ખાતેના આ સેમિનારથી ભાષાને પ્રેરક બળ મળશે અને વિચાર- વિમર્શ- મંથન થકી ભાષાને આભ્યાસક્રમમાં મૂર્તિમંત થવાનો અવકાશ મોકળો બનશે. વિવિધ રાજ્યોમાંથી આવેલા મહાનુભાવો આ બે દિવસીય સેમિનારમાં ભાગ લઈ રહ્યા છે. સત્ર દરમિયાન પોતાના વિચારો વ્યક્ત કરશે. જેમાં ૨૨ મહત્વની ભાષાના નિષ્ણાંતો, અભ્યાસુઓ જોડાયા છે. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત સાહિત્યકારો અને પ્રખર વિદ્વાનો આ સેમિનારમાં ભાગ લઈને ભાષા પ્રત્યેના પ્રેમને ઉજાગર કરવા પોતાના મંતવ્યો રજૂ કરશે. અંગ્રેજીની અવેજી ભાષા તરીકે ઉપયોગ હોઈ શકે. જ્ઞાન મેળવવામાં ખુલ્લો અવકાશ રહેશે અને માતૃભાષા વહીવટમાં પત્રાચારમાં આમ જનતાને ઉપયોગી સાબિત થશે. આ શિબિરના ઉદઘાટન સત્રમાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહાસચિવશ્રી ડો. જયેન્દ્રસિંહ જાદવે ઉપસ્થિત મહાનુભાવોનો વિસ્તૃતમાં પરિચય આપી બે દિવસ દરમિયાન થનારી ચર્ચાઓના વિષયો પર પ્રકાશ પાડ્યો હતો.

આ શિબિરના પ્રથમ દિવસે ભારતીય ભાષાઓની એકાત્મતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતમાં ભાષાઓની ભૂમિકા, ભારતીય ભાષાઓની એકાત્મતાના આધારસ્રોત, શિક્ષણ સંશોધન અને ભારતીય ભાષાઓ, શાસન-પ્રશાસન અને ભારતીય ભાષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષા-રોજગારમાં ભારતીય ભાષાઓ, વેપાર-વ્યવસાય અને નાણાકીય ક્ષેત્રમાં ભારતીય ભાષાઓ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ભારતીય ભાષાઓ, કાયદો અને ન્યાય ક્ષેત્રમાં ભારતીય ભાષાઓ બાબતોને કેન્દ્રમાં રાખીને ચર્ચાઓ કરવામાં આવશે. તેના બીજા સત્રમાં ભારતીય ભાષાઓની વર્તમાન સ્થિતિ અને પડકારો તેમજ ભાષા સંસ્થાનો અને અકાદમીઓની ભૂમિકા અંગે પણ વિચારો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. બીજા દિવસે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦માં ભાષા સંબંધી જોગવાઈઓ અને તેની અમલવારીના સંદર્ભમાં ચર્ચાઓ થશે અને ભાષા અંગે સમૂહ ચિંતન મનન કરી ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયાસ અને પરિણામલક્ષી રોડમેપ તૈયાર કરવામાં આવશે.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી  રાજપીપલા

error: