Satya Tv News

ભરૂચ જિલ્લાના અમોદ તાલુકાના સરભાણ ગામના તળાવ પાસેથી ગતરોજ એક સગીરાનો મૃતદેહ મળી આવતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

આમોદના સરભાણ ગામે તળાવ નજીકથી વસાવા પરિવારની સગીરાનો મૃતદેહ મળવાની ઘટનાના પગલે સરભાણ સહિતના પંથકમાં સગીરાના મોત અંગે અનેક તર્કવિતર્કો સર્જાયા હતા.આ ઘટનામાં સરભાણ ગામની નવી નગરી વિસ્તારમાં રહેતી વસાવા પરિવારની ૧૪ વર્ષીય સગીરા ગતરોજ પોતાના ગામ નજીક આવેલ તળાવ પાસે લાકડા વીણવા માટે ગઇ હતી, પરંતુ તે મોડે સુધી ઘરે પરત ન આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આખરે તેની લાશ ગ્રામજનોને ગામના જ તળાવ નજીકથી મળી આવતા ભારે ખળભળાટ મચ્યો છે, સાથે જ સગીરાના અચાનક મોત અંગે લોકોમાં સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ ઘટના અંગેની જાણ અમોદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસે સ્થળ પર દોડી જઈ સગીરાની લાશનો કબ્જો મેળવી તેને પેનલ પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી, સાથે જ સમગ્ર મામલે અંગે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે, સગીરાનું મોત કુદરતી અકસ્માતે છે કે પછી અન્ય કોઇ કારણસર થયું છે તે બાબતે સમગ્ર ઘટના ક્રમ બાદથી મામલો ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે.

વિડીયો જર્નાલિસ્ટ: મોહમ્મદ ખત્રી સાથે ઇરફાન પટેલ,સત્યા ટીવી, આમોદ

error: