Satya Tv News

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 15 વર્ષમાં 130 આદિવાસીઓના ધર્મ પરિવર્તનનો સંવેદનશીલ મુદ્દો હવે સરકાર માટે પણ ગંભીર બની ગયો છે. લોભ, લાલચ, પ્રલોભનો કરી ગેરકાયદે વિદેશથી ફંડ મેળવી કરાવાયેલા મુસ્લિમ ધર્મ પરીવર્તનમાં ગુરૂવારે રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, સાંસદ મનસુખ વસાવા અને DSP રાજેન્દ્રસિંહ ચુડાસમા કાંકરિયા ગામે પહોંચ્યા હતા. તેમની સાથે ભરૂચ જિલ્લા BJP પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા પણ જોડાયા હતા.

ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરિયાદી પ્રવીણ વસાવા, સરપંચ સહિત સાથે વાત કરી સમગ્ર મામલે જાણકારી મેળવવા સાથે ધર્માંતરણ મુદ્દે ફરિયાદી અને અન્યને રક્ષણ આપવાની ખાતરી આપી હતી. સાથે જ કાયદાકીય રીતે તમામ કામગીરી પુરી પાડવાનું જણાવી ગ્રામજનોની મુંઝવણો, સમસ્યા અને પ્રશ્નોનો તાગ મેળવ્યો હતો. ગ્રામજનોની તમામ જરૂરિયાતો પૂરી કરવા સરકાર કટિબદ્ધ હોવાનું પણ મંત્રી, સાંસદે ગામમાં જણાવી કોઈએ ભયભીત થવાની જરૂર નહીં હોવાનું કહ્યું હતું.

ધર્માંતરણ મુદ્દે ખાસ કરી સાંસદે આદિવાસીઓને કોઇનાથી નહિ ડરવા તેમજ ખોટા પ્રલોભનમાં ભોળવાઈ પોતાનો ધર્મ નહિ બદલવા ખાસ સમજાવ્યા હતા. તેઓની કોઈ પણ સમસ્યા અને જરૂરિયાતો રાજ્ય અને કેન્દ્ર સરકાર પૂર્ણ કરવા કાર્યરત હોવાનું તેમણે ઉમેરી સરકારી અને કાયદાકીય તમામ સુરક્ષા અને પાયાની પ્રાથમિક સવલતો પુરી પાડવા કહ્યું હતું. જિલ્લા પોલીસવડાએ ફરિયાદી અને સરપંચ સહિત અન્ય ગ્રામજનો સાથે જરૂરી ચર્ચા કરી તેમને તમામ કાયદાકીય સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી ધર્માંતરણ અંગેની વિગતો મેળવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: