અંકલેશ્વરમાં નવી જંત્રી લાગુ પડે તે પહેલા દસ્તાવેજ કરાવવા પડાપડી
ગત માર્ચ મહિના દરમ્યાન અંકલેશ્વર કચેરી ખાતે રોજના અંદાજે ૧૦૦ જેટલા દસ્તાવેજોની થાય છે નોંધણી
ગત માસ દરમ્યાન રૂ.૧૭.૩૯ કરોડની રેવેન્યુની આવક થાય છે સરકારી તિજોરીને
તા.૧૫મી એપ્રિલ બાદ આગામી ચાર મહિના દરમ્યાન જૂની જંત્રીના ભાવે દસ્તાવેજની કરાવી શકશે નોંધણી
અંકલેશ્વર કચેરી થકી કુલ રૂ.૧૪.૬૮ કરોડની સ્ટેમ્પ ડ્યુટીની થાય છે આવક
અંકલેશ્વર રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરોમાં ૧૦૦ ટકાનો એટલે કે બમણો ભાવ વધારો ઝીંકાયા બાદ મિલકતધારકોએ જુની જંત્રીના આધારે દસ્તાવેજ કરવા દોટ મુકી છે.જોકે રજીસ્ટ્રાર કચેરીના સુત્રો જણાવી રહ્યા છે કે લોકોએ ખોટી ભાગદોડ કરવાની જરૂરિયાત નથી.
રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૧માં જંત્રીના દર અમલમાં આવ્યા હતા ત્યારે આશરે ૧૧ વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારો જાહેર કર્યો છે,જે આગામી ૧૫મી એપ્રિલથી અમલમાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં બમણો વધારો કરાયો છે.અંકલેશ્વરની રજીસ્ટ્રાર કચેરી ખાતે મિલકત ધારકોએ જંત્રી વધે તે પહેલા દસ્તાવેજ કરાવી લેવા પડાપડી કરી છે.ગત માર્ચ મહિના દરમ્યાન અંકલેશ્વર કચેરી ખાતે રોજના અંદાજે ૧૦૦ જેટલા દસ્તાવેજોની નોંધણી થઇ રહી છે. સ્થાનિક રજીસ્ટ્રારની કચેરીના સુત્રો તરફથી મળતી આધારભુત માહિતી પ્રમાણે માર્ચ મહિનાના ૨૩ જેટલા ચાલુ દિવસો દરમ્યાન સ્થાનિક કચેરીમાં કુલ ૨૨૩૨ દસ્તાવેજોની નોંધણી થઇ હતી.આમ અંકલેશ્વર કચેરી થકી કુલ રૂ.૧૪.૬૮ કરોડની સ્ટેમ્પ ડ્યુટીની આવક થઇ હતી જયારે રૂ.૨.૭૧ કરોડની નોંધણી ફી તરીકેની આવક થતા કુલ રૂ.૧૭.૩૯ કરોડની રેવેન્યુની આવક સરકારી તિજોરીને થઇ હતી.
જોકે સ્થાનિક જોકે રજીસ્ટ્રાર કચેરીના સુત્રો જણાવી રહ્યા છે કે દસ્તાવેજની નોંધણી કરાવવા માટે લોકોએ ખોટી ભાગદોડ કરવાની જરૂરિયાત નથી.જે મિલકત ધારકો આગામી ૧૫ એપ્રિલ પહેલા મિલ્કતની નોંધણી કરાવવા માટે માન્ય સ્ટેમ્પ અને દસ્તાવેજ બંને પક્ષકારોની સહી અંગુઠાના નિશાન સાથે તૈયાર રાખશે તેવા મિલકત ધારકો તા.૧૫મી એપ્રિલ બાદ આગામી ચાર મહિના દરમ્યાન જૂની જંત્રીના ભાવે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે. જોકે તેઓએ જરૂરી સ્ટેમ્પ તેમજ દસ્તાવેજ તૈયાર રાખવો પડશે.ઉલ્લેખનીય છે કે હાલમાં માહિતીના અભાવે મોટી સંખ્યામાં મિલકત ધારકો જૂની જંત્રીનો લાભ લેવા મિલ્કતની નોંધણી કરાવવા સ્થાનિક કચેરીએ ધસારો કરી રહ્યા છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર