લગભગ 70,000 બેંક કર્મચારીઓ અને ઓફિસો હડતાળ પર જતા હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં જાહેર ધિરાણકર્તાઓની ઓછામાં ઓછી 4,800 શાખાઓ બે દિવસ માટે બંધ રહેશે.
દેશભરમાં જાહેર ક્ષેત્રની વિવિધ બેંકોમાં કામ કરતા કર્મચારીઓ આજે ગુરુવાર અને આવતીકાલે શુક્રવારે બે દિવસીય દેશવ્યાપી હડતાળ પર રહેશે. જો આજે તમે પણ કોઈ મહત્વપૂર્ણ કામના સંબંધમાં બેંક જવાના છો તો બની શકે છે કે આ બે દિવસમાં તમારું કામ નહિ થાય. બેંક સંબંધિત તમારું કોઈપણ મહત્વપૂર્ણ કામ હવે 18 ડિસેમ્બર શનિવારના રોજ જ થઈ શકશે.
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)ના નેજા હેઠળના બેંક યુનિયનોએ 2021-22ના બજેટમાં જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણની દરખાસ્ત સામે 16 અને 17 ડિસેમ્બરે હડતાળનું આહ્વાન કર્યું છે. બજેટમાં સરકારે જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે દિવસ સુધી ચાલનારી આ હડતાળમાં 4 હજારથી વધુ શાખાઓના લગભગ 9 લાખ કર્મચારીઓ કામ કરશે નહીં.
જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ સામેની આ હડતાલ અંગે UFBUના એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર વર્તમાન શિયાળુ સત્રમાં આવો કાયદો લઈને આવી રહી છે જેનાથી કોઈપણ જાહેર ક્ષેત્રની બેંકનું ખાનગીકરણ સરળતાથી થઈ શકશે. અધિકારીએ કહ્યું કે બેંકોના ખાનગીકરણને કારણે બેંક કર્મચારીઓને સૌથી વધુ નુકસાન થશે. આ જ કારણ છે કે સરકારના આ નિર્ણયના વિરોધમાં બેંક યુનિયનો ગુરુવાર અને શુક્રવારે હડતાળ પર રહેશે.
મહાગુજરાત બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનના જણાવ્યા અનુસાર, લગભગ 70,000 બેંક કર્મચારીઓ અને ઓફિસો હડતાળ પર જતા હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં જાહેર ધિરાણકર્તાઓની ઓછામાં ઓછી 4,800 શાખાઓ બે દિવસ માટે બંધ રહેશે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત અનેક જાહેર ક્ષેત્રની બેંકોએ યુનિયનોને બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળ પર જવાના તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. બેંકોએ યુનિયનોને વાતચીત માટે બોલાવ્યા છે. આ ઉપરાંત દેશની લગભગ તમામ જાહેર ક્ષેત્રની બેંકોએ તેમના કર્મચારીઓને આ હડતાળમાં ભાગ ન લેવાની અને તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી છે.
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એક ટ્વિટમાં તેના કર્મચારીઓને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા અને હડતાળમાં ભાગ લેવાથી દૂર રહેવા વિનંતી કરી છે. ઇન્ડિયન બેંકે ટ્વીટ કર્યું, “અમારા ગ્રાહકોને અવિરત સેવાઓ સુનિશ્ચિત કરવા માટે અમે મુખ્ય યુનિયનો અને યુનિયનોના નેતાઓને ચર્ચા માટે આમંત્રિત કર્યા છે અને તેમને 16 અને 17 ડિસેમ્બર 2021ના રોજ સૂચિત હડતાળને પાછી ખેંચવાની અપીલ કરી છે.”‘